ગોધરામાં ઉછીના નાણાંની પરત માંગણી કરતા યુવતીએ પ્રેમી સાથે મળી વૃદ્ધનું ઢીમ ઢાળી દીધુ
(પ્રતિનિધિ) ગોધરા, કોઈને આર્થિક મદદ કરી ઉછીના નાણાંની પરત માંગણી કરો તો મળી શકે છે મોતની સજા ! આવું જ કંઈક ગોધરાના ૬૮ વર્ષીય વૃદ્ધ સાથે બન્યું છે. ગોધરાના ભૂરાવાવ વિસ્તારના વૃદ્ધની પૂર્વ આયોજિત કાવતરૂં રચી ઉછીના નાણાં પરત માંગતા યુવતીએ તેના પ્રેમી મારફતે હત્યા કરાવી હોવાનો પર્દાફાશ થયો છે .
ગોધરા એ ડિવીઝન પોલીસે યુવતી , તેના પ્રેમી અને પ્રેમીના મિત્ર સામે હત્યા અને ષડયંત્રની જાેગવાઈ મુજબ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે .
બીજી તરફ હત્યારાઓએ વૃદ્ધને ગળે ટૂંપો દઈ મૃતદેહને પુરાવાનો નાશ કરવા માટે ગોધરાના એકસઠ પાટિયા પાસેથી પસાર થતી કેનાલમાં ફેંકી દીધો હતો . જેથી પોલીસે ફાયર બ્રિગેડ અને એનડીઆરએફ ટીમની મદદ લઇ મૃતદેહની કેનાલમાં શોધખોળ હાથ ધરી છે . ઉલ્લેખનીય છે કે મનહરભાઈને યુવતીને નાણાંકીય મદદ કરી ઉછીના નાણાં પરત માંગતા મોતની સજા મળી છે . જેને લઈ તેઓનો પરિવાર શોકમગ્ન બન્યો છે.
ગોધરા શહેરના ભૂરાવાવ વિસ્તારમાં નવદીપ સોસાયટીમાં રહેતા ૬૮ વર્ષીય મનહરભાઈ ઝાલા ૪ માર્ચના રોજ શહેરાના છાણીપ ગામે તેઓના સ્નેહીજનના ઘરે ધાર્મિક પ્રસંગમાં ગયા હતા . ગોધરાના ભક્તિનગર સોસાયટીમાં રહેતાં રેખાબેન કાંતિલાલ પરમારની ઇકો ગાડીમાં ચાલક તરીકે રેખાનો કહેવાતો પ્રેમી સંજય અમરસિંહ દેવીપૂજક -કાલોલ અને હાલ ગોધરા ખાતે રહે છે .
જે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે તેના મિત્ર રાહુલ ઉર્ફે પિન્ટુ પરમાર , અલીન્દ્રા – કાલોલને સાથે લઈ ગયો હતો . આ દરમિયાન મનહરભાઈને લઈ તેઓ ઇકો ગાડીમાં છાણીપ ધાર્મિક પ્રસંગમાં લઇ ગયા હતા . જયાંથી પ્રસંગ પૂર્ણ કરી પરત થયા હતા.પરંતુ રેખાબેનને મનહરભાઈએ ઉછીના આપેલા નાણાંની ઉઘરાણી કરી હતી , જે બાબતની અદાવત રાખી રેખાબેન અને સંજયે મનહરભાઈની હત્યાનું પૂર્વ આયોજિત કાવતરૂ રચ્યું હતું .
જે મુજબ સંજયે મનહરભાઈને તેના મિત્ર રાહુલને કાલોલ મૂકી આવવાનું જણાવી મનહરભાઈને રાત્રે ઇકો ગાડીમાં ગોધરાના એક્સઠ પાટિયા નર્મદા કેનાલ પાસે લઈ ગયા હતા અને સંજય અને રાહુલે મનહરભાઈના ગળે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધા હતા . બાદમાં તેઓનો મૃતદેહ પુરાવાનો નાશ કરવા માટે કેનાલમાં ફેંકી દીધો હતો.
બીજી તરફ મનહરભાઈ મોડી રાત્રી સુધી ઘરે પરત નહીં આવતાં તેઓના સ્વજનોએ મોબાઈલના માધ્યમથી સંપર્ક કરવા પ્રયાસ કરાયો હતો પરંતુ થઈ શક્યો નોહતો . જેથી પરિવારજનો ચિંતિત બની શોધખોળ આદરી હતી અને ઇકો ગાડીના ચાલક સંજય અને માલિક રેખાબેનને પૂછપરછ કરી હતી . દરમિયાન બંનેએ રાત્રે મનહરભાઈને તેઓના ઘર પાસે મૂકી ગયા હોવાનું રટણ કર્યુ હતું .