Western Times News

Gujarati News

પૂર્વ આફ્રિકામાં ભગવાન વેંકટેશ્વરનું મંદિર બનાવવા માંગે છે NRI ભક્ત

તિરુપતિ, મંદિરમાં ભક્તો પોતાની ક્ષમતા અને શ્રદ્ધા અનુસાર વિવિધ વસ્તુઓનું દાન કરતા હોય છે. પરંતુ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્સ મંદિરમાં એક ભક્તે એવી વસ્તુ ચઢાવી છે જે પહેલા કોઈએ નહીં ચઢાવી હોય.

ભારતીય મૂળના અને પૂર્વ આફ્રિકાના સેશેલ્સમાં સ્થાયી થયેલા રામક્રિષ્ણ પિલ્લાઈએ મંદિરમાં સેશેલ્સની રાજધાની વિક્યોરિયા સ્થિત પોતાની જમીન મંદિરમાં દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા આ બાબતે વિચારણા કરવામાં આવી રહી છે.

ટ્રસ્ટ આ બાબતે પૂરતી જાણકારી મેળવશે અને અભ્યાસ કરશે. રામક્રિષ્ણ પિલ્લાઈએ જણાવ્યું કે સેશેલ્સમાં હિન્દુ ધર્મના લોકોની નોંધપાત્ર વસ્તી છે અને લોકોએ ત્યાં ભગવાન ગણેશના મંદિરની સ્થાપના પણ કરી છે.

ભગવાન ગણેશના મંદિરમાં મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ પણ દર્શન માટે આવતા હોય છે. તેમણે મંદિર સમક્ષ વિનંતી કરતા કહ્યું કે, સેશેલ્સના વિક્ટોરિયામાં મહત્વના વિસ્તારમાં આવેલી ચાર એકર જમીન હું દાન કરવા માંગુ છું જેની કિંમત લગભગ પાંચ કરોડ રુપિયા હશે. મારી વિનંતી છે કે અહીં ભગવાન વેંકટેશ્વરનું મંદિર બનાવવામાં આવે.

ઉલ્લેખનીય છે કે ટેમ્પલ સિટી તરીકે ઓળખાતા તિરુપતિ શહેર અને ટીટીડીના વિકાસ માટે સહયોગ અને યોગદાન મેળવવા માટે તાજેતરમાં જ ત્યાંના સાંસદ ડોક્ટર એમ.ગુરુમૂર્તિ, બિઝનસ નેટવર્ક કેબિનેટ સમૂહના સભ્ય, ટીટીડી ટ્રસ્ટ બોર્ડના સભ્ય ડોક્ટર એસ શંકરે બિઝનસ લીડર્સ અને અમુક એનઆરઆઈ લોકો સાથે ચેન્નાઈમાં મુલાકાત કરી હતી.

આ મુલાકાત દરમિયાન જમીન દાનમાં આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ મળ્યા પછી બીએનસીના પ્રતિનિધિઓએ મંદિર ટ્રસ્ટના એડિશન ઈઓ એવી ધર્મા રેડ્ડીને માહિતગાર કર્યા હતા.

તેમણે આ પ્રસ્તાવ સાંભળીને જણાવ્યું કે, આ પહેલીવાર એવુ બન્યું છે કે મંદિર ટ્રસ્ટને વિદેશની જમીન આ પ્રકારે દાનમાં મળી રહે છે. આ બાબતે અંતિમ ર્નિણય લેતા પહેલા વિચાર વિમર્શ કરવો પડશે. સેશેલ્સમાં જમીન અંગે શું કાયદા છે તેની પણ જાણકારી મેળવવી પડશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.