Western Times News

Gujarati News

ધાનપુરના યુવકે બે સગા ભાઈઓને ટિફિન જમાડવાની લાલચ આપી હત્યા કરી

દે.બારીયા,દસેક દિવસ પહેલાંના સામાન્ય ઝઘડાથી અપમાનિત થયેલા ધાનપુર તાલુકાના કાંટુ ગામના યુવકે તેના જ ગામના ૧૦ વર્ષીય અને પાંચ વર્ષીય એમ બે સગા ભાઈઓનું ટિફિન જમાડવાની લાલચ આપી અપહરણ કરી બંને માસુમોની ઠંડા કલેજે નિર્મમ હત્યા કરી ,એકની લાશ ને આમલી મેનપુર ગામના જંગલમાં પાણીના ટાંકાની બાજુમાં નાના મોટા પથ્થરોથી દાટી દેતા તેમજ બીજા ભાઈની લાશને સીમામોઈ ગામના કુવામાં ફેંકી દેતા પોલીસે બંને મૃત બાળકોની લાશનો કબજો લઇ બંનેની લાશને પીએમ માટે ધાનપુર સરકારી દવાખાને મોકલી આપી ધાનપુર પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને માસૂમ બાળકોના હત્યારાને રાછવા ધાટાની ખજુરી ચોકડીથી કોર્ડન કરી ઝડપી પાડી જેલના સળિયા પાછળ મોકલી આપ્યાનું પોલીસ સૂત્રો દ્દ્વારા જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર ધાનપુર તાલુકાના કાંટુ ગામના નિશાળ ફળિયા ના રાજેશ ઉર્ફે રાજુ ભાઈ મનુભાઈ મોહનીયા દસેક દિવસ પહેલાં સામાન્ય ઝઘડા ને કારણે અપમાનિત થતા તે બાબતની અદાવત રાખી રાજેશ ઉર્ફે રાજુ ભાઈ મોહનીયા એ ફળિયામાં રહેતા શંકરભાઈ વીરસીંગભાઇ બામણીયા ના ઘરે રમવા આવેલ ૧૦ વર્ષીય દિલીપ નરવતભાઈ બામણીયા તથા તેનો નાનો ભાઈ પાંચ વર્ષીય રાહુલ નરવતભાઈ બામણીયા એમ બે સગા ભાઈઓને ટિફિન જમાડવાની લાલચ આપી પોતાની લાલ કલરની બાઈક પર બેસાડી અપહરણ કરી લઈ ગયા બાદ ૧૦ વર્ષીય દિલીપ નરવતભાઈ બામણીયા તથા પાંચ વર્ષીય રાહુલભાઈ બામણીયા ની કોઈ હથિયાર વડે નિર્મમ હત્યા કરી દિલીપભાઈ ની લાશ ને આમલી મેનપુર ઘાટા ના જંગલમાં પાણીના ટાંકા પાસે નાના મોટા પથ્થરોથી દાટી દીધી હતી.

અને પાંચ વર્ષીય રાહુલની લાશને સીમામોઈ ગામના કૂવામાં નાખી દીધી હતી. જ્યારે બીજી તરફ બંને ભાઈઓ અંધારું થયા છતાં ભરત ઘરે ન આવતાં તેઓના ચિંતિત માવતરે ગામમાં તપાસ કરી હતી પરંતુ બંનેની કોઈ ભાળ ન મળતાં તેઓએ આ મામલે ધાનપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સદર ઘટનાની જાણ કરતા ધાનપુર પોલીસે આ મામલે જાણવાજોગ નોંધી બંને ગુમસુદા ભાઈઓની શોધખોળ આદરી ગામ નું જંગલ ખૂંદી વળ્યા હતા પરંતુ તે બંને ભાઈઓ ની કોઈ ભાળ મળી ન હતી.

એવામાં ગત રોજ તારીખ ૧૨-૫-૨૦૨૨ ના રોજ ૧૦ વર્ષીય દિલીપભાઈ ની લાશ આમલી મેનપુર ગામે ઘાટાના જંગલમાંથી નાના મોટા પથ્થરો નીચે દાટેલી હાલતમાં મળી આવતા ધાનપુર પોલીસ હરકતમાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ બંને માસુમ છોકરાઓનીઠંડે કલેજે હત્યા કરી પોતાના કામને અંજામ આપનાર કાંટુ ગામના રાજેશ ઉર્ફે રાજુભાઈ મનુભાઈ મોહનીયાને  રાછવા ઘાટાની ખજુરી ચોકડીથી કોર્ડન કરી ઝડપી પાડયો હતો અને સધન પુછપરછ હાથ ધરી હતી જેમાં તેને બંને ભાઇઓની હત્યા કરી તેઓની લાશને કેવી રીતે ઠેકાણે પાડી તેની વિગતવાર કબૂલાત કરતા પોલીસે બન્ને મૃતક ભાઈઓની લાશનું પંચનામુ કરી પીએમ માટે તેની ધાનપુર સરકારી દવાખાને મોકલી આપી આ સંબંધે ધાનપુર પોલીસે કાંટુ ગામના રાજેશ રાજુભાઈ મનુભાઈ મોહનીયા વિરુદ્ધ કિડનેપિંગ વિથ મર્ડરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.