રાજપારડી ભાલોદ રોડ પર ખાડીના વળાંક નજીક પડેલ ખાડાથી અકસ્માતની દહેશત
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી ભાલોદ જવાના રોડ પર માધુમતિ ખાડી નજીકના વળાંક પર મસમોટો ખાડો પડતા અકસ્માતની દહેશત ઉભી થઈ છે.આને લઈને વણાકપોર, ભાલોદ પંથકના ગામોના વાહનચાલકો ચિંતિત બન્યા છે.આ માર્ગ પરનો ખાડો મોટો હોવાથી વાહનચાલકોએ ખાડાથી બચીને ચાલવું પડે છે.
આને લઈને ખાડા નજીક માર્ગ જાણે સિંગલ ટ્રેક જેવો થઈ ગયો છે.આને લઈને સામસામેથી આવતા વાહનો ટકરાવાની દહેશત પણ જાેવા મળી રહી છે.જાણવા મળ્યા મુજબ આ ખાડો લાંબા સમયથી પડ્યો છે અને ખાડામાં પાણીનો ભરાવો થતા ખાડો મોટો બન્યો છે.
ભાલોદ તરફના ગ્રામજનોને અવારનવાર રાજપારડી ઝઘડીયા અંકલેશ્વર ભરૂચ તરફ આવવા જવાનું થાય છે.કોઈ દ્વિચક્રી કે અન્ય વાહન રાત્રી દરમ્યાન ખાડામાં પડશે તો જાનહાની થવાની પણ સંભાવના રહેલી છે.ત્યારે તાકીદે આ ખાડો પુરીને વાહનચાલકોને પડતી હાલાકિ નિવારાય તે જરૂરી છે.