ગાંધીનગર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
રવિવારના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સેક્ટર ૧માં આવેલ તળાવ ગાર્ડન ખાતે સાંજે ૪ વાગે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમની ઉજવણી માટે ગાંધીનગરના ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, ચેરમેન જશવંત પટેલ, મ્યુનિસપિલ કમિશનર ડૉ. ધવલ પટેલ, નાયબ મ્યુનસિપલ કમિશનર કેયુર જેઠવા તથા ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ તેમજ કાઉન્સિલરશ્રીઓએ હાજરી આપી હતી.
આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે પર્યાવરણ અંગે જાગૃતી ફેલાવવા અને વૃક્ષોનો મહિમા સમજાવવા માટે તમામ મહાનુભાવો દ્વાર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ તમામ પદાધિકારીઓ તેમજ અગ્રણીઓએ એક અઠવાડિયાની અંદર ૭૫-૭૫ વૃક્ષ વાવવાનો સંકલ્પ લીધો છે. જેની શરૂઆત તેઓએ વિશ્વ પર્યાવરણ દિવસથી કરી દીધી છે.
પાટનગરની ગ્રીનસિટી તરીકેની ઓળખાણ વિસ્તૃત બને અને શહેરને અમૂલ્ય વૃક્ષોના છાયામાં શીતળ બનાવી શકાય તે હેતુસર મહાનગર પાલિકા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને નાગરિકોને પણ વૃક્ષોની જાળવણી માટે સંદેશ આપવામાં આવ્યો.