કેન્સર-ડાયાબિટીસ જેવી બીમારીઓની દવા ૭૦ ટકા સુધી સસ્તી થશે
નવીદિલ્હી, કેન્દ્ર સરકાર કેન્સર, ડાયાબિટીસ અને હૃદય રોગ જેવી ગંભીર બીમારીઓની સારવારમાં જરૂરી દવાઓની કિંમતોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી શકે છે.
સૂત્રોનું કહેવું છે કે, આ માટે સરકારે કેટલાક પ્રસ્તાવો તૈયાર કર્યા છે, પરંતુ જાહેરાતને લઈને હજી અંતિમ ર્નિણય લેવાનો બાકી છે. અધિકારીઓએ જણાવ્યું કે, કેન્દ્ર કેટલીક મહત્વપૂર્ણ દવાઓની ઊંચી કિંમતોને લઈને ચિંતિત છે અને તેને નિયંત્રિત કરવા માટેનો રસ ધરાવે છે.
રિપોર્ટ મુજબ એક સૂત્રએ કહ્યું, ‘પ્રસ્તાવ પસાર થયા પછી કિંમતોમાં ૭૦ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવશે. કેન્દ્ર જરૂરી દવાઓની રાષ્ટ્રીય યાદી,૨૦૧૫માં સુધારો કરવા માટે પણ કામ કરી રહ્યું છે, જેથી તે દવાઓને સામેલ કરી શકાય જે હાલમાં વ્યાપક પ્રચલનમાં છે.’
કેન્દ્ર સરકાર લાંબા ગાળા માટે દર્દીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી દવાઓ પર ઉચ્ચ-વ્યાપાર માર્જિનને મર્યાદિત કરવા પર પણ વિચાર કરી રહી છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ અંતિમ પ્રસ્તાવ પર ચર્ચા માટે ૨૬ જુલાઈએ ફાર્મા ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે બેઠક બોલાવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, કેટલીક દવાઓ પર વ્યાપાર માર્જિન ૧૦૦૦ ટકાથી વધારે છે.
ડ્રગ પ્રાઇસ રેગ્યુલેટર NPPA હાલમાં ૩૫૫થી વધુ દવાઓની કિંમતોને મર્યાદિત કરે છે. જે જરૂરી દવાઓની રાષ્ટ્રીય યાદીનો (NLEM) ભાગ છે, અને ડ્રગ્સ પ્રાઇસ કંટ્રોલના આદેશ હેઠળ સૂચિત છે. આવી સુનિશ્ચિત દવાઓ પર વ્યાપાર માર્જિન પણ જથ્થાબંધ વેપારીઓ માટે ૮ ટકા અને છૂટક વિક્રેતાઓ માટે ૧૬ ટકા પર નિયંત્રિત થાય છે.
આ દવાઓના તમામ ઉત્પાદકોએ તેમની પ્રોડક્ટ મહત્તમ કિંમતે અથવા તેનાથી ઓછી કિંમતે વેચવી પડશે. જાે કે, કંપનીઓ કે જેઓ સરકારના સીધા ભાવ નિયંત્રણથી બહાર છે, અન્ય તમામ દવાઓ માટે કિંમત નક્કી કરવા માટે સ્વતંત્ર છે. તેઓ આવી દવાઓની કિંમત ફક્ત ૧૦ ટકા વર્ષે વધારી શકે છે. ઘણી વખત આવી દવાઓ પર વ્યાપાર માર્જિન ખૂબ જ વધારે હોય છે અને દર્દીઓને અસર કરે છે.
વાસ્તવિકતા એ છે કે ૬૦ ટકા થી વધુ દર્દીઓ હજુ પણ દવાઓ માટે પોતાના દમ પર ચૂકવણી કરવા માટે મજબૂર છે. ફેબ્રુઆરી ૨૦૧૯મા, NPPAએ જાહેર હિતમાં DPCO હેઠળ અસાધારણ સત્તાઓનો ઉપયોગ કરતા પાયલટ આધાર પર ૪૧ કેન્સર વિરોધી દવાઓના વ્યાપાર માર્જિનને ૩૦ ટકા સુધી મર્યાદિત કરી દીધું છે. આના પરિણામ સ્વરૂપે આ દવાઓની ૫૨૬ બ્રાન્ડોની MRPમાં ૯૦ ટકા ઘટાડો થયો.
આ સિવાય, સરકારે કોરોનરી સ્ટેન્ટ અને ઘૂંટણના પ્રત્યારોપણની કિંમતો પણ નક્કી કરી. ઓગસ્ટ ૨૦૨૧મા સ્વાસ્થ્ય મંત્રીએ સંસદમાં જણાવ્યું કે, NLEM હેઠળ દવાઓની વધુમાં વધુ કિંમતોમાં સુધારો, એન્ટિ-ડાયાબિટીસ વિરોધી અને હૃદયની દવાઓના ભાવ નિયંત્રણ, ઘૂંટણના પ્રત્યારોપણ અને કેન્સર વિરોધી દવાઓ પર TMRની મર્યાદાને કારણે કુલ વાર્ષિક બચતનો અંદાજ ૧૨,૫૦૦ કરોડ છે.HS1MS