ન્યૂયોર્કમાં તોફાની તત્વોએ ગાંધીજીની પ્રતિમા તોડી

છેલ્લા બે અઠવાડિયામાં બીજી વખત બની ઘટના
શખ્સોએ માત્ર મહાત્મા ગાંધીની પ્રતિમા જ નહોતી તોડી પરંતુ મંદિરની દિવાલ પર કેટલાક ખરાબ શબ્દો પણ લખ્યા હતા
નવી દિલ્હી,અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં એક હિંદુ મંદિર બહાર સ્થાપિત કરાયેલી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને આ મહિનાની શરૂઆતમાં કેટલાક તોફાની તત્વોએ ક્ષતિગ્રસ્ત કરી હતી. ત્યારબાદ હાલમાં છ જેટલા અજાણ્યા શખ્સોની ટોળીએ આ પ્રતિમાને નફરતની ભાવનાથી નષ્ટ કરી હતી. આ સમગ્ર ઘટનાની ભારતે ઘૃણાસ્પદ ગણાવીને નિદા કરી છે.
ભારત તરફ આ વિષયને અમેરિકાના અધિકારીઓ સમક્ષ ઉઠાવવામાં આવ્યો છે, જેથી કૃત્ય કરનારા જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવે. ન્યૂયોર્ક શહેર પોલીસે આપેલા નિવેદન પ્રમાણે, કેટલાક અજાણ્યા શખ્સોએ તુલસી મંદિર સામે સ્થિત એક ધાર્મિક પ્રતિમાને ક્ષતિગ્રસ્ત કરી હોવાની ૧૬ ઓગસ્ટે રાતે ૧૨.૩૦ કલાકે તેમને સૂચના મળી હતી. પોલીસે આ ઓછી હરકત કરનારા શખ્સોને શોધવામાં મદદ કરવા માટે સ્થાનિકોને વિનંતી કરી છે.
ન્યૂયોર્કના અધિકારીએ એક નિવેદનમાં શ્રી તુલસી મંદિરની બહાર આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમાને બીજી વખત તોડવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ વખતે પ્રતિમા પૂરી રીતે નષ્ટ કરી દીધી છે. રિપોર્ટ્સ પ્રમાણે, સીસીટીવી ફૂટેજમાં એક શખ્સ ગાંધીજીની પ્રતિમાને હથોડીથી તોડતો દેખાયો હતો. થોડી મિનિટ બાદ, છ શખ્સોનું જૂથ ત્યાં આવ્યું હતું અને પ્રતિમાને એકદમ નષ્ટ કરી દીધી હતી.
રિપોર્ટ્સ પ્રમાણે, સાઉથ રિચમાઉંડ હિલમાં સ્થિત શ્રી તુલસી મંદિરના સ્થાપક લખરામ મહારાજે લોકો હવે મંદિર જતાં ડરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. શખ્સોએ માત્ર મહાત્મા ગાંધીની પ્રતિમા જ નહોતી તોડી પરંતુ મંદિરની દિવાલ પર કેટલાક ખરાબ શબ્દો પણ લખ્યા હતા. તપાસ કરી રહેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે, બે અઠવાડિયા પહેલા જ ગાંધીજીની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું હતું. આ દરમિયાન વાણિજ્ય દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેઓ ક્વીન્સ, ન્યૂયોર્કમાં એક મંદિર બહાર મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડની તેઓ સખત નિંદા કરે છે.ss1