અંબાજીથી વાહનોમાં મુસાફર ભરીને જનારાઓ પર રાજસ્થાન પોલીસની રોક
અંબાજી,ગુજરાતમાંથી રાજસ્થાન તરફ લોડિંગ વાહનોમાં મુસાફર ભરીને જતા વાહનો પર રાજસ્થાન પોલીસે રોક લગાવી છે, લોડિંગ વાહનોમાં મુસાફરો ભરીને જતા રોકવા માટે અંબાજી નજીક છાપરી બોર્ડર ઉપર રાજસ્થાન પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે.
તાજેતરમાં રામદેવરા પાસે સુમેરપુર નજીક મુસાફર ભરેલું ટ્રેકટર અને ટ્રેલર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં દાંતા તાલુકાના કુકડી અને બજારવાડાના ૪ લોકોનાં મોત નીપજયા હતા જયારે ર૦ ઉપરાંત ઘાયલ થયા હતા એટલું જ નહીં
આ અગાઉ અંબાજી નજીક પણ આજ રીતે મુસાફરો ભરેલું ટ્રેકટર પલ્ટી જતાં મોટી સંખ્યામાં જાનહાની થઈ હતી ને હવે આવા મુસાફરો ભરી લોડિંગ વાહનો પસાર થતા હોય તેના ઉપર રાજસ્થાન પોલીસે રોક લગાવી દીધી છે. જેને લઈ અકસ્માત જેવી સમસ્યા નિવારી શકાય.
હાલ ગુજરાતના વિવિધ સ્થળોથી મુસાફરો ભરેલા ટ્રેકટરો અંબાજી નજીક છાપરી બોર્ડરથી પસાર થતાં રાજસ્થાન પોલીસે રાજસ્થાનમાં પ્રવેશ ન આપી તેમને ગુજરાતમાં પરત રવાના કરાયા હતા અને હવે કોઈ પણ લોડિંગ વાહનોમાં મુસાફરો ભરીને જતા હશે તેમને રોકવામાં આવશે.
તેમજ સરહદ બોર્ડરથી જ પરત જે તે સ્થળે રવાના કરાશે. હાલ તબકકે જે રીતે રામદેવરાના પગપાળા સંઘો જઈ રહ્યા છે તેઓ ટ્રેકટરમાં સાધન સામગ્રી લઈ જતા હોય છે. રામદેવરા દર્શન કરી પરત ફરતી વખતે ટ્રેકટરનો ઉપયોગ કરતા હોય છે પણ હવે આ તમામ પ્રક્રિયા ઉપર રોક લગાવી દેતા રામદેવરા જતા યાત્રિકોમાં નારાજગી જાેવા મળી રહી છે.