રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૭૪૨૯૯ વિદ્યાર્થીનીઓને સાયકલ પૂરી પડાઈ

File Photo
અનુસૂચિત જનજાતિની વિદ્યાર્થીનીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ-અમદાવાદ અને વડોદરા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં રૂપિયા ૮૬.૭૬ લાખના ખર્ચે ૧,૯૮૩ વિદ્યાર્થીનીઓને સાયકલ અપાઈ
રાજ્યના આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું છે કે, અનુસૂચિત જનજાતિની વિદ્યાર્થીનીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર હર હંમેશ કટિબદ્ધ છે.
આ વિદ્યાર્થીઓને સારી રીતે શિક્ષણ સુવિધા ઉપલબ્ધ બને તે આશયથી રાજ્યમાં વિદ્યા સાધના યોજના હેઠળ સાયકલની સુવિધા પૂરી પાડવામાં આવે છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં રૂ.૩૨.૭૩ કરોડના ખર્ચે ૭૪,૨૯૯ વિદ્યાર્થીનીઓને સાયકલો પૂરી પાડવામાં આવી છે. In the last two years, 74299 girl students completed cycles in the state
આજે વિધાનસભા ખાતે વડોદરા અને અમદાવાદ જિલ્લામાં ધોરણ ૯માં અભ્યાસ કરતી અનુસૂચિત જનજાતિની વિદ્યાર્થીનીઓને સાયકલ આપવાની યોજના અંગેના પ્રશ્નોના પ્રત્યુતરમાં મંત્રીશ્રી હળપતિએ ઉમેર્યું કે, આ બંને જિલ્લામાં આ યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં રૂ.૮૬.૭૬ લાખના ખર્ચે ૧,૯૮૩ વિદ્યાર્થીનીઓને આવરી લઈ સાયકલ આપવામાં આવી છે. જેમાં વડોદરા જિલ્લાની ૧,૬૬૫ અને અમદાવાદ જિલ્લાની ૩૧૮ વિદ્યાર્થીનીઓને સમાવેશ થાય છે.
સાયકલ ખરીદી અને વિતરણ વ્યવસ્થા અંગેના એક પૂરક પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીશ્રી હળપતિએ ઉમેર્યું કે, આ યોજના હેઠળ સાયકલની ખરીદી અને ગુણવત્તા તથા વિતરણ વ્યવસ્થા સંપૂર્ણ પારદર્શી રીતે થાય એ માટે ગ્રીમ્કો કંપની દ્વારા કામગીરી હાથ ધરાવવામાં આવી રહી છે. આ અંગે અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ ગેરરીતી કે ભ્રષ્ટાચારની ફરિયાદ મળી નથી.
વિદ્યા સાધના યોજનાના અમલીકરણ અને અમલ માટેના પૂરક પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીશ્રીએ કહ્યું કે, આ યોજના હેઠળ ધોરણ-૯માં અભ્યાસ કરતી આદિજાતિ દિકરીઓને સાયકલ આપવામાં આવે છે આ માટે રૂ. ૬ લાખની આવક મર્યાદા નિયત કરાઈ છે તેમ તેમણે ઉમેર્યું હતું.