UPSC પરીક્ષામાં સફળતા મેળવેલા ગુજરાતના ૧૬ યુવાઓને પુરસ્કારથી સન્માનિત કરાયા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/06/UPSC1-1024x486.jpg)
નવ યુવાનોને પદ-પૈસો કે પ્રતિષ્ઠા કરતા જન સેવાના દાયિત્વને કારકિર્દીમાં અહેમિયત આપવા મુખ્યમંત્રીએ પ્રેરણા આપી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય જાહેર સેવા આયોગ UPSCની સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવનારા ગુજરાતના ૧૬ યુવાનોને ગાંધીનગરમાં સન્માનિત કર્યા હતા.
રાજ્ય સરકારના સરદાર પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ‘સ્પીપા’માં પૂર્વ પરીક્ષા તાલીમ મેળવી આ યુવાઓ UPSC ફાઇનલમાં સફળ થયા છે.
આ તાલીમ સંસ્થામાંથી અત્યાર સુધીમાં ૨૬૦ યુવક-યુવતિઓએ UPSC પરીક્ષામાં સફળતા મેળવી સનદી અને કેન્દ્રિય સેવા ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરેલી છે.
આ વર્ષે સ્પીપામાં પૂર્વ પરીક્ષા તાલીમ માટે આવેલા ૩૦ માંથી ૧૬ યુવાઓને UPSCમાં સફળતા પ્રાપ્ત થઈ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ યુવાઓને મુખ્ય મંત્રી નિવાસ સ્થાને આમંત્રિત કરીને શિલ્ડ-પ્રશસ્તિપાત્ર અને પ્રોત્સાહક સહાય રાશિથી સન્માનિત કર્યા હતા.
સ્પીપામાંથી પૂર્વ પરીક્ષા તાલીમ મેળવીને ફાઇનલમાં સફળ થનારા યુવકોને રૂ. ૫૧ હજાર અને યુવતીઓને રૂ. ૬૧ હજાર પ્રોત્સાહન પુરસ્કાર રાજ્ય સરકાર તરફથી આપવામાં આવે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રપટેલે આ યુવાઓને પ્રેરણા આપતા કહ્યું કે, પદ, પૈસા કે પ્રતિષ્ઠા કરતા જનસેવાના દાયિત્વને કારકિર્દીમાં અહેમિયત આપવાથી જ કાર્ય સંતોષ થાય છે.
એટલું જ નહિં, કુદરતના નિયમોનું પાલન અને નીતિ-મત્તા સાથેની સેવા કારકિર્દીથી લોકોને પોઝિટિવ વાઇબ્રેશન મેળવીને જીવનમાં સકારાત્મક પ્રગતિ થઈ શકે છે.
આ અવસરે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાશનાથન, સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ અને સ્પીપાના નાયબ મહાનિયામક શ્રી વિજય ખરાડી પણ ઉપસ્થિત રહ્યા હતા.