Western Times News

Gujarati News

ગરબા સ્પર્ધા 16 થી 23 ઓક્ટોબર સુધી દરરોજ સાંજે 6 કલાકથી શરૂ થશે

ગુજરાતની હસ્તકળા અને તેના કારીગરોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી સ્ટોલ્સ લગાવવામાં આવ્યા

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની  પ્રેરક ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં  નવરાત્રિ મહોત્સવ ૨૦૨૩ નો પ્રારંભ કરાવ્યો હતો.

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ ગુજરાતના ગરબા ને ગ્લોબલ ઓળખ આપવા અને ગરબા સંસ્કૃતિ સાથે પ્રવાસન પ્રવૃતિને  વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ કરવા ૨૦૧૧ થી આ નવરાત્રિ મહોત્સવ ની શરૂઆત કરાવી છે.

રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ અને સાંસ્કૃતિક પ્રવૃત્તઓના વિભાગ દ્વારા આ  નવદિવસિય મહોત્સવ નું  આયોજન થયું છે.

રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રી એ આ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો તે અવસરે અમદાવાદ ના પ્રભારી અને  રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ ભાઇ પટેલ, પ્રવાસન મંત્રી શ્રી મુળુ ભાઇ બેરા, રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા તેમજ અમદાવાદના  મેયર શ્રીમતી પ્રતિભા જૈન, સાંસદ શ્રી કિરીટ ભાઇ સોલંકી હસમુખ પટેલ અને ધારાસભ્યો તેમજ મુખ્ય સચિવ શ્રી રાજકુમાર અને વરિષ્ઠ સચિવો, આમંત્રિતો અને વિશાળ સંખ્યામાં ગરબા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉદ્દઘાટન સમારંભમાં ‘શક્તિરૂપેણ સંસ્થિતા’ની થીમ પર મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

નવરાત્રી મહોત્સવના મુખ્ય આકર્ષણ અંતર્ગત એન્સિલરી સ્ટેજ પર રાજ્યકક્ષાની ગરબા સ્પર્ધા તારીખ 16 થી 23 ઓક્ટોબર સુધી દરરોજ સાંજે 6 કલાકથી શરૂ થશે.

આ ઉપરાંત તારીખ 16 થી 23 ઓક્ટોબર સુધી દરરોજ સાંજે 9 કલાકથી રાત્રિના 12 કલાક દરમિયાન પરંપરાગત શેરી ગરબાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ગરબા ગાયકોના સુમધુર આવાજ અને સંગીતના સાધનોના લયબદ્ધ તાલ પર હજારોની સંખ્યામાં ખેલૈયાઓ ગરબા રમશે. એટલું જ નહિ, 16 થી 23 ઓક્ટોબર દરરોજ રાત્રે 11:45 કલાકે મહાઆરતીનું પણ સુંદર આયોજન કરાયું છે.

તારીખ 15 થી 23 ઓક્ટોબર સુધી દરરોજ સાંજે 5 થી 12 કલાક સુધી થીમ પેવેલિયન, ક્રાફ્ટ બઝાર, ફૂડ સ્ટોલ્સ, આનંદ નગરી, બાલ નગરી, સાબરમતી આશ્રમ જેવાં થીમ આધારિત ગેટ, અટલ બ્રિજ, દાંડિયા દ્વાર, ‘દીયા’ અને ‘કળશ’ સહિતનાં મુખ્ય આકર્ષણો રાખવામાં આવ્યા છે.

ભારતના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાને ઉજાગર કરતા વિવિધ સ્થળો અને ઘટનાઓ જેવી કે, ચાર વેદ, રામ મંદિર, મોઢેરા સૂર્ય મંદિર, ચંદ્રયાન, તેજશ (પ્લેન), રમત-ગમત ક્ષેત્રે પ્રસિધ્ધ ખેલાડીઓના જીવનની ઝલક, માઁ આધ્યશક્તિનાં નવ સ્વરૂપો, સ્ટેચ્યૂ ઑફ યૂનિટી, થિમેટીક ટનલ સહિતની થીમ આધારિત વિવિધ સ્થળોની ઝાંખીનું પણ આયોજન હાથ ધરાયું છે.

ગુજરાતની હસ્તકળા અને તેના કારીગરોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી સ્ટોલ્સ લગાવવામાં આવશે.

જેના માધ્યમથી નાગરિકોને ગુજરાતની અનોખી હસ્તકળા કારીગરીથી રૂબરૂ થવાની તક સાંપડશે તેમજ કારીગરોને પણ પોતાના ઉત્પાદનોનું વેચાણ કરવા માટે સારું પ્લેટફોર્મ મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.