મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારને Z કેટેગરીની સુરક્ષા મળી
(એજન્સી)નવી દિલ્હી, મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારને ઝેડ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. આઈબીના ઇનપુટ્સના આધારે ગૃહ મંત્રાલયે તેમને આ સુરક્ષા કવચ આપવાનો નિર્ણય કર્યો છે. કેટલાક સમયથી વિપક્ષી દળોએ પણ ચૂંટણી પંચ પર સરકારના ઈશારે કામ કરવાનો આરોપ લગાવ્યો છે.
વિરોધ પક્ષો સામે કાર્યવાહી થઈ રહી છે, જ્યારે ભાજપના નેતાઓ સામે કોઈ કાર્યવાહી થઈ રહી નથી. દરમિયાન, ચૂંટણી પંચે ગૃહ મંત્રાલય પાસે માગ કરી છે કે સુરક્ષા માટે બંગાળમાં અર્ધલશ્કરી દળોની ૧૦૦ વધારાની કંપનીઓ તૈનાત કરવામાં આવે જેથી કરીને ચૂંટણી કોઈપણ દખલ વિના હાથ ધરવામાં આવે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચના આદેશ પર ગૃહ મંત્રાલય દ્વારા સીઆરપીએફની ૫૫ અને બીએસએફની ૪૫ કંપનીઓ તૈનાત કરવામાં આવનાર છે. ચૂંટણી અધિકારીઓએ આદેશ આપ્યો છે કે અર્ધલશ્કરી દળોની ૧૦૦ વધારાની ટુકડીઓ ૧૫ એપ્રિલ અથવા તે પહેલા તૈનાત કરવામાં આવે. આ પહેલા બુધવારે ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની બેઠક બોલાવી હતી. જેમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
પશ્ચિમ બંગાળમાં વધારાના દળો તૈનાત કરવાનો આદેશ પણ મહત્વપૂર્ણ છે કારણ કે ત્યાં ચૂંટણી હિંસાનો લાંબો ઈતિહાસ છે. જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં ૭ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કાનું મતદાન ૧૯ એપ્રિલે થશે અને છેલ્લા તબક્કાનું મતદાન ૧ જૂને થશે. આ સિવાય પરિણામ ૪ જૂને આવશે. તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં લોકસભાની કુલ ૪૨ સીટો છે.
૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં, ટીએમસીએ રાજ્યમાં ૨૨ બેઠકો જીતી હતી, જ્યારે ભાજપના ૧૮ ઉમેદવારો વિજયી બન્યા હતા. આ વખતે ભાજપનો દાવો છે કે તે પ્રથમ આવશે. એટલું જ નહીં, ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે એવી આગાહી પણ કરી છે કે ભાજપ બંગાળ, ઓડિશા અને તેલંગાણામાં મહત્તમ બેઠકો જીતશે.