Western Times News

Gujarati News

GCCI દ્વારા આયોજિત “ક્રિએટિંગ સોશીઅલ ઈમ્પૅક્ટ થ્રુ સોસીઅલ મીડિયા ઇન્ફ્લ્યુઅંસિંગ” વિષય પર સેશન 

GCCI એ તારીખ 20 સપ્ટેમ્બર, 2024ના રોજ “ક્રિએટિંગ સોસીઅલ ઈમ્પૅક્ટ થ્રુ સોસીઅલ મીડિયા ઇન્ફ્લ્યુઅંસિંગ” વિષય પર એક સેશનનું આયોજન કર્યું હતું. 

આ સેશનનું આયોજન GCCI ના ફિલ્મ એન્ડ એન્ટરટેઈનમેન્ટ ટાસ્કફોર્સ, બિઝનેસ વુમન કમિટી, ઈવેન્ટ્સ એન્ડ એક્ઝિબિશન્સ ટાસ્કફોર્સ અને ડિજિટલ માર્કેટિંગ, ડિજિટલ મીડિયા અને બુલેટિન કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શ્રી અજય ઉમટ, ગ્રુપ એડિટર, અમદાવાદ મિરર અને નવગુજરાત સમય, શ્રી પોપટભાઈ આહીર, પ્રભાવક અને સામાજિક કાર્યકર અને શ્રીમતી જીજ્ઞા રાજગોર જોશી, સ્થાપક અને સીઈઓ, ઝાંસી OTT મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. GCCI organized Session on “Creating Social Impact Through Social Media Influencing”

આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં GCCI ના સિનિયર ઉપ પ્રમુખ શ્રી રાજેશ ગાંધીએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા નો પ્રભાવ આજે સર્વવ્યાપી બનેલ છે તેમજ તે એટલું શક્તિશાળી બન્યું છે કે તે આપણા નિર્ણયોને ખુબ ઘનિષ્ઠ રીતે પ્રભાવિત કરે છે.

તેમણે ઉમેર્યું હતું કે વ્યવસાય અથવા જૂથ માટે તેઓનો તેમજ તેઓના ઉત્પાદનનો પ્રભાવ તેમજ માર્કેટિંગ વધારવા સોશિયલ મીડિયાને સમજવું અને તેના પર પ્રાધાન્ય પ્રાપ્ત કરવું ખુબ જરૂરી છે. GCCIના માનદ મંત્રી શ્રી ગૌરાંગ ભગતનું માનવું છે કે ઉપસ્થિત નામાંકિત વક્તાઓ સાથેના સંવાદથી આ વિષય પરની આપણી સમજ નોંધપાત્ર રીતે વધશે અને વક્તાઓના વિચારોથી આ વિષય પર વધુ સ્પષ્ટતા મળશે.

આ પ્રસંગે બોલતા શ્રી આસિત શાહ, ચેરમેન, GCCI ફિલ્મ એન્ડ એન્ટરટેઈનમેન્ટ ટાસ્કફોર્સે સોશિયલ મીડિયાના વિશાળ પ્રભાવ વિશે ઉલ્લેખ કર્યો હતો. તેમણે ટિપ્પણી કરી હતી કે કુશળતા અને પ્રતિભા હોવી પૂરતું નથી, પરંતુ આપણે આપણી કુશળતા અને પ્રતિભા માટે ગ્રાહકો પ્રાપ્ત કરવા સોશિયલ મીડિયાને પણ સમજવું જોઈએ.

આ પ્રસંગે બોલતા શ્રી અજય ઉમટે ખાસ ઉલ્લેખ કર્યો કે સમય ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યો છે. પ્રિન્ટેડ મીડિયા ની અસર ઓછી થતી જાય છે. સાથે સાથે ફેક ન્યૂઝ ના જોખમ વિશે પણ તેઓએ વાત કરી. તેઓએ ભયસ્થાન બતાવ્યું કે સોશિયલ મીડિયા જે અલ્ગોરિધમ બનાવે છે તે ખતરનાક પણ બની શકે છે અને સામાન્ય જનતાને ગેરમાર્ગે દોરી શકે છે.

શ્રી પોપટભાઈ આહિરે ઉલ્લેખ કર્યો કે સોશિયલ મીડિયા એક વિશાળ પ્રભાવનું સાધન બની ગયું છે અને તે આપણા વર્તનને સકારાત્મક અને નકારાત્મક રીતે અસર કરે છે. તેમણે ટીપ્પણી કરી કે કોઈ વ્યક્તિ અભ્યાસ અને અવલોકન દ્વારા પોતાનો સોશિયલ મીડિયા પરનો પ્રભાવ વધારી શકે છે.

ઝાંસી ઓટીટીના સ્થાપક અને સીઈઓ સુશ્રી જિગ્ના રાજગોર જોશીએ ઉલ્લેખ કર્યો કે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર વધુને વધુ મહિલાઓએ આગળ આવવું જોઈએ. તેઓએ તે બાબત પર પણ ધ્યાન દોર્યું કે આપણે સોસીઅલ મીડિયા પર શું જોઈએ છીએ તે પર પણ ધ્યાન રાખવું જોઈએ.

તેઓએ ટિપ્પણી કરી કે આપણે સોશિયલ મીડિયાની મદદથી જરૂરિયાતમંદ પરિસ્થિતિઓમાં અસરકારક હેલ્પ-લાઈન બનાવી શકીએ છીએ.હેપીનેસ કોચ સુશ્રી અમૃતા આચાર્યએ સત્રનું સંચાલન કર્યું. શ્રી પૌરશ પટેલના આભાર સાથે સત્રનું સમાપન થયું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.