પંજાબમાં મુસાફરો ભરેલી બસ નહેરમાં ખાબકીઃ આઠના મોત
(એજન્સી)ભટિંડા, પંજાબના ભટિંડામાં ૨૭ નવેમ્બર ભીષણ અકસ્માત થયો છે. અહીં એક ખાનગી કંપનીની બસ નહેરમાં ખાબકી છે, જેમાં આઠ લોકોના મોત થયા હોવાના જ્યારે અનેક લોકોને ઈજા થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો અને એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઈજાગ્રસ્તોને તુરંત હોસ્પિટલમાં ખસેડ્યા છે.
પોલીસે કહ્યું કે, મૃતદેહો બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે. મળતા અહેવાલો મુજબ ખાનગી કંપનીની બસ ભટિંડાના કોટશમીર રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે ડ્રાઈવરે અચાનક બસ પરનો કાબુ ગુમાવતા બસ નહેરમાં ખાબકી હતી, જેમાં આઠ લોકોના દર્દનાક મોત અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. સ્થાનિક વહિવટી તંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા છે.
જ્યારે એનડીઆરએફની ટીમ પુરજોશમાં બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. પોલીસે દુર્ઘટના સર્જાવાના કારણોની તપાસ કરી રહી છે. આ ઉપારંત પંજાબ પોલીસ અને ઉત્તર પ્રદેશ પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં માર્યા ગયેલા ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સના ત્રણ આતંકવાદીઓના મૃતદેહ લઈને પંજાબ જઈ રહેલી એમ્બ્યુલન્સ મંગળવારે મોડી રાત્રે અકસ્માતનો ભોગ બની હતી.
રામપુર બાયપાસ પર અજાણ્યા વાહને એમ્બ્યુલન્સને ટક્કર મારી હતી. માહિતી મળતા જ પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ ત્રણેય આતંકીઓના મૃતદેહને એમ્બ્યુલન્સમાંથી બીજી એમ્બ્યુલન્સમાં ટ્રાન્સફર કરીને પંજાબ મોકલવામાં આવ્યા હતા.