Western Times News

Gujarati News

વૃંદાવન પહોંચી કોહલી અને અનુષ્કાએ પ્રેમાનંદ મહારાજના આર્શીવાદ લીધા

વૃંદાવન,  બોલિવૂડની જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી સૌથી વધુ ચર્ચિત કપલ્સમાંથી એક છે. ચાહકો પણ બંનેને સાથે જોવાનું પસંદ કરે છે. ભારતીય ક્રિકેટર કોહલી અને અનુષ્કા તાજેતરમાં વૃંદાવન પહોંચ્યા હતા, જ્યાં તેમણે પ્રેમાનંદ મહારાજના દર્શન કર્યા હતા.

વિરાટ કોહલી અને અનુષ્કાનો એક વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં બંને સ્ટાર્સ પ્રેમાનંદ મહારાજ સાથે વાત કરતા જોવા મળે છે. આ સમય દરમિયાન તેમના બાળકો પણ સાથે છે. વીડિયોમાં અનુષ્કા અને વિરાટ પ્રેમાનંદ મહારાજ સાથે વાત કરતા જોવા મળે છે. આ દરમિયાન મહારાજે બંનેને નામ જપવાની સલાહ આપી.

વામિકા વિરાટના ખોળામાં અને અકાય અનુષ્કાના ખોળામાં જોવા મળે છે. જોકે તેનો ચહેરો બતાવવામાં આવ્યો નથી. વાતચીત દરમિયાન અનુષ્કાએ પ્રેમાનંદ મહારાજ પાસે પ્રેમ ભક્તિની માંગ કરી. તમને જણાવી દઈએ કે અનુષ્કા અને વિરાટ પહેલા પણ પ્રેમાનંદ મહારાજની મુલાકાત લઈ ચુક્યા છે. તેઓ વૃંદાવન પહોંચી પ્રેમાનંદ મહારાજના આર્શીવાદ મેળવે છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કોહલી અને અનુષ્કા જેવા પ્રેમાનંદ મહારાજની સામે પહોંચ્યા કે તરત જ માથું ઝુકાવીને તેમને પ્રણામ કર્યા હતા. કોહલી જેવો પ્રેમાનંદ મહારાજની સામે પહોંચ્યો તેમણે ભારતીય બેટ્‌સમેનને પૂછ્યું, શું તમે ખુશ છો ? તેના પર કોહલીએ માથું હલાવ્યું અને હા પાડી અને તે હસતો જોવા મળ્યો.
કોહલી અને અનુષ્કાનો પ્રેમાનંદ મહારાજના આશ્રમ પહોંચવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પ્રેમાનંદ મહારાજના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં કોહલી અને અનુષ્કા તેમના બે બાળકો વામિકા અને અકાય સાથે પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા પહોંચ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.