તસ્કરોએ જજ અને પોલીસ કર્મચારીના ઘરને જ બનાવ્યું નિશાન
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ જિલ્લામાં ન્યાયાધીશ અને પોલીસ કર્મચારીના ઘરે જ ચોરીની ઘટના બની છે. ધોળકા અને ધંધુકામાં તસ્કરોએ ઘરફોડ ચોરી કરી છે. ધંધુકામાં રહેતા ધોલેરાના પ્રિન્સિપાલ સિવિલ જજના બંગલામાં ચોરી થઈ છે.
બીજી તરફ ધોળકામાં રહેતા સુરતના PSIના ઘરે પણ ચોરી થઈ છે. બંને મકાનમાંથી તસ્કરો ૯ તોલાના સોનાના ઘરેણાં સહિત મુદ્દામાલ ચોરી ગયા હોવાની વિગતો છે. ધોળકામાં રહેતા સુરતના પીએસઆઈના ઘરે પણ ચોરી થઈ હોવાની વિગતો છે. PSI પ્રભુ કોટવાળના ઘરે તસ્કરો ત્રાટક્યા હતા. તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ અને તેમાંથી સોના-ચાંદીના ઘરેણા સહિતની ચોરી કરી છે.
ધોલેરાના પ્રિન્સિપાલ સિવિલ જજના બંગલામાં પણ ચોરીની ઘટના બની છે. ધોલેરાના જજ ધંધુકા ખાતે રહી રહ્યા છે. તેમના મકાનમાં તસ્કરોએ ૨૭મી જાન્યુઆરીની રાત્રે મોડી સવારે ચોરીને અંજામ આપ્યો હતો.
એક તરફ ૨૬મી જાન્યુઆરીની તૈયારીઓ થઈ રહી હતી, ત્યારે જિલ્લા તંત્રની આખી પોલીસ ત્યાં ધંધુકા ખાતે હતી. તેમ છતાં જજના ઘરમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. હાલ તો પોલીસ તપાસ કરી રહી છે કે કેટલી વસ્તુની ચોરી થઇ છે ? કેવા પ્રકારે ચોરી કરવામાં આવી છે તેને લઈ હાલ અત્યારે પોલીસે તપાસ હાથ ધરી છે.