દિવ્યાંગો પરીક્ષામાં પેપર લખવા રાઈટરનો ઉપયોગ કરી શકશેઃ સુપ્રીમ
સુપ્રીમે સત્તાવાળાઓ, ભરતી એજન્સીઓને માર્ગદર્શિકાનું પાલન કરવા કહ્યું
નવી દિલ્હી, ભારતની સર્વાેચ્ચ અદાલતે એક જાહેર હિતની અરજી પર ચુકાદો આપતા જણાવ્યું હતું કે, તમામ વિકલાંગ ઉમેદવારો અગાઉ નિર્ધારિત માનક વિકલાંગતા માપદંડોને પૂર્ણ કર્યા વિના પરીક્ષા લખવા માટે સ્ક્રાઈબ (લેખક)ની સુવિધાનો ઉપયોગ કરી શકે છે. આ નિર્ણયથી લેખકની સુવિધા કોઈપણ વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓને જ નહીં, પરંતુ એવા લોકો માટે પણ લાગુ પડે છે Supreme court order for physically challenged
જેઓ અગાઉ નિર્ધારિત ૪૦ ટકા વિકલાંગ કે તેથી વધુ છે.સુપ્રીમ કોર્ટનો આ નિર્દેશ ગુલશન કુમાર નામના ઉમેદવાર દ્વારા દાખલ કરાયેલી પીઆઈએલ પર આવ્યો છે, જેમાં બેંક પરીક્ષાઓ માટે તેમની અપંગતાની સ્થિતિને ધ્યાનમાં રાખીને લેખક સુવિધા, વળતર સમય અને અન્ય તમામ સુવિધાઓની માંગ કરવામાં આવી હતી.
ન્યાયાધીશ જે બી પારડીવાલા અને આર મહાદેવનની બેન્ચે જણાવ્યું હતું કે, આનું “યોગ્ય અને ન્યાયી” પાલન સુનિશ્ચિત કરવાની જવાબદારી કેન્દ્રની છે. સર્વાેચ્ચ અદાલતના નિર્દેશોને અનુસરીને કેન્દ્ર દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાનો અમલ બેન્ચમાર્ક દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટેના લાભો તમામ દિવ્યાંગ ઉમેદવારોને તેમની પરીક્ષાઓ લખવામાં કોઈપણ અવરોધ વિના લાગુ કરીને કરવો જોઈએ, એમ સર્વાેચ્ચ અદાલતે જણાવ્યું હતું.
સર્વાેચ્ચ અદાલતે તમામ સત્તાવાળાઓ, ભરતી એજન્સીઓ અને તપાસ સંસ્થાઓને કેન્દ્ર દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાનું એકસરખી રીતે પાલન કરવા અને સમયાંતરે સર્વેક્ષણો અથવા ચકાસણી દ્વારા કડક પાલન સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો.આ ઉપરાંત સુપ્રીમે ઓફિસ મેમોરેન્ડમના અસરકારક અમલીકરણ માટે પરીક્ષાનું સંચાલન કરતી સંસ્થાઓમાં જાગૃતિ લાવવા માટે શૈક્ષણિક સંસ્થાઓમાં સમયાંતરે સંવેદનશીલતા અભિયાન ચલાવવા પણ જણાવ્યું હતું.
એટલું જ નહીં, કેન્દ્રને ફરિયાદો નોંધવા માટે ફરિયાદ નિવારણ પોર્ટલ સ્થાપિત કરવાનો પણ નિર્દશ અપાયો છે.સુપ્રીમ કોર્ટે નિર્દેશોનું પાલન કરવા માટે બે મહિનાનો સમય આપ્યો છે.