૪૨ કલાક ખુલ્લું રહેશે સોમનાથમાં મહાશિવરાત્રી મહોત્સવ નિમિત્તે મંદિર

(એજન્સી)સોમનાથ, રાજ્યમાં જૂનાગઢ, સોમનાથ સહિતના જિલ્લામાં મહાશિવરાત્રી પર્વની ઉજવણીની તૈયારી શરૂ થઈ ગઈ છે, ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી મહોત્સની ભવ્ય ઉજવણીની તૈયારી શરૂ કરવામાં આવી છે.
જેમાં સોમનાથ સમુદ્ર કિનારે હજારો શ્રદ્ધાળુઓ માટે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. સમુદ્ર દર્શન વાક પર આજે સોમવારથી ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૫ સુધીમાં સોમનાથ મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જ્યારે સંકીર્તન ભવન ખાતે ધ્વજા પૂજા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે.
સોમનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી મહોત્સની તડામાર તૈયારી શરૂ છે, ત્યારે આગામી ૨૬ ફેબ્રુઆરીની વહેલી સવારે ૪ વાગ્યાથી ૪૨ કલાક સુધી ભક્તો માટે મંદિર ખુલ્લું રાખવામાં આવશે. જ્યારે સોમનાથ સમુદ્ર કિનારે હજારો શ્રદ્ધાળુઓ માટે સવારે ૮ વાગ્યે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં સવારે ૮થી ૧૧ અને બપોરે ૧થી ૫ વાગ્યા દરમિયાન ભક્તોને દર્શન કરવા અને ગંગાજળ અભિષેકનો લાભ મળે તે માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સોમનાથમાં ૨૪થી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન સોમનાથ મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં સંકીર્તન ભવન ખાતે ધ્વજા પૂજા માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ભક્તો માત્ર ૨૫ રૂપિયામાં બિલ્વ પૂજા કરી શકશે.