રાજ્ય સરકારો સસ્તી તબીબી સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળઃ સુપ્રીમ

કેન્દ્ર સરકારને માર્ગદર્શિકા બનાવવા સુપ્રીમનો નિર્દેશ
(એજન્સી)નવી દિલ્હી, ‘રાજ્ય સરકારો સસ્તી તબીબી સંભાળ અને માળખાગત સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ ગઈ છે.’ આનાથી ખાનગી હોસ્પિટલોને પ્રોત્સાહન મળી રહ્યું છે. આને રોકવા માટે કેન્દ્ર સરકારે માર્ગદર્શિકા બનાવવી જોઈએ તેમ સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું હતુ.
હકીકતમાં, સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ અને તેમના પરિવારોને હોસ્પિટલની ફાર્મસીમાંથી મોંઘી દવાઓ અને તબીબી ઉપકરણો ખરીદવાની ફરજ પાડવામાં આવે છે. તેથી, આવી હોસ્પિટલો પર નિયંત્રણ રાખવું જોઈએ. કેન્દ્ર અને રાજ્ય સરકારોને આ રોકવાનો આદેશ આપવો જોઈએ.
જસ્ટિસ સૂર્યકાંત અને એનકે સિંહની બેન્ચે આ મામલાની સુનાવણી કરી. કેન્દ્ર સરકારે તેના જવાબમાં કહ્યું કે દર્દીઓને હોસ્પિટલની ફાર્મસીમાંથી દવાઓ ખરીદવાની ફરજ પાડવામાં આવતી નથી. આ અંગે કોર્ટે કહ્યું કે, રાજ્ય સરકારો તેમની હોસ્પિટલોમાં સસ્તા ભાવે દવાઓ અને તબીબી સેવાઓ પૂરી પાડે તે જરૂરી છે જેથી દર્દીઓનું શોષણ ન થાય.
જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું, ‘અમે અરજદાર સાથે સંમત છીએ, પણ તેને કેવી રીતે નિયંત્રિત કરવું?’ કોર્ટે રાજ્ય સરકારોને ખાનગી હોસ્પિટલોને નિયંત્રિત કરવા કહ્યું જે દર્દીઓને હોસ્પિટલની દુકાનમાંથી દવાઓ ખરીદવા દબાણ કરે છે. ખાસ કરીને એવી દવાઓ જે બીજે ક્યાંય સસ્તી મળે છે. કોર્ટે કેન્દ્ર સરકારને માર્ગદર્શિકા બનાવવા કહ્યું જેથી ખાનગી હોસ્પિટલો સામાન્ય લોકોનું શોષણ ન કરી શકે.
અગાઉ સુપ્રીમ કોર્ટે આ મામલે તમામ રાજ્યોને નોટિસ મોકલી હતી. ઓડિશા, અરુણાચલ પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, તમિલનાડુ, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાન સહિત ઘણા રાજ્યોએ પોતાના જવાબો દાખલ કર્યા હતા. દવાના ભાવોના મુદ્દા પર રાજ્યોએ કહ્યું કે તેઓ કેન્દ્ર સરકારના ભાવ નિયંત્રણ આદેશ પર નિર્ભર છે. કઈ દવાની કિંમત શું હશે તે કેન્દ્ર સરકાર પોતે નક્કી કરે છે.
સુપ્રીમ કોર્ટનાં આ વલણથી સામાન્ય નાગરિકોને બહુ મોટી રાહત થશે. આ અંગે છેલ્લા ઘણાં સમયથી ગરીબ અને મધ્યમ વર્ગનાં દર્દીઓનાં પરિવારોમાં ભારે ઉહાપોહ મચેલો છે. કેટલાંક કિસ્સાઓમાં ખાનગી હોસ્પિટલોની અંદર સારવાર કરાવી પણ દર્દીના પરિવારજનો માટે અસહ્ય બની જાય છે.
આ પરિસ્થિતિમાં છેલ્લાં કેટલાંક સમયથી સોશિયલ મીડિયા ઉપર સારવાર માટે દર્દીનાં પરિવારજનો મદદ માંગતા હોય તેવા વીડિયો પણ પ્રકાશિત થાય છે. હવે તમામની નજર કેન્દ્ર સરકારે કેવા પ્રકારની ગાઈડલાઈન બનાવે છે. તેના ઉપર મંડાયેલી છે.