ભારતમાં 182 કે વધુ દિવસ રહ્યાં હોય તો જ NRI પર ટેક્સ લાગુ પડેઃ ટ્રિબ્યુનલ

ટ્રિબ્યુનલે આઇટી વિભાગની દલીલને ફગાવી દીધી: રૂ.૧.૨ કરોડની વિદેશી આવકનો ટેક્સ રિટર્નમાં NRI એ ઉલ્લેખ કર્યાે ન હતો
(એજન્સી)નવી દિલ્હી, નોકરી માટે વિદેશ જતાં હજારો બિનનિવાસી ભારતીયો લાભ થાય તેવા એક ચુકાદામાં મુંબઈ ઇનકમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલએ સ્પષ્ટતા કરી હતી કે માત્ર ભારતમાં વિતાવેલા દિવસોની સંખ્યાને આધારે જ NRIના ટેક્સ રેસિડેન્શિયલ સ્ટેટસનો નિર્ણય કરી શકાય છે.
વિદેશમાં નોકરી શોધવા માટે વિતાવેલો સમયગાળો પણ વિદેશમાં વિતાવેલો સમયગાળો ગણાય છે. બિનનિવાસી ભારતીયો (એનઆરઆઇ) પર ભારતમાં સામાન્ય રીતે વિદેશી આવક પર ટેક્સ લાગું પડતો નથી, પરંતુ તે માટે વિદેશમાં ૨૧૦થી વધુ દિવસો વીતાવવા પડે છે. ટ્રિબ્યુનલે ગુલાટી નામના એક વ્યક્તિની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
તેમણે દાવો કર્યાે હતો કે તેમનો ટેક્સ રેસિડેન્શિયલ સ્ટેટટ ‘બિનનિવાસી’ છે, કારણ કે તેમણે વિદેશમાં કામ કરવા માટે ૨૧૦ દિવસ વિતાવ્યા હતાં અને તેમણે દેશમાં ૧૮૨ દિવસથી ઓછા સમય વિતાવ્યા હતાં. તેમણે ૨૦૧૫-૧૬ના નાણાકીય વર્ષ માટે રૂ.૧.૨ કરોડની વિદેશી આવકનો ટેક્સ રિટર્નમાં ઉલ્લેખ કર્યાે ન હતો. જોકે આઇટી વિભાગે દાવો કર્યાે હતો કે આ ૨૧૦ દિવસમાંથી ૨૮ દિવસ નોકરીની શોધ માટે વિતાવ્યા હતાં અને તેથી ભારતમા તેઓ ટેક્સ રેસિડન્ટ છે.
જોકે ટ્રિબ્યુનલે આઇટી વિભાગની દલીલને ફગાવી દીધી હતી. ટ્રિબ્યુનલનો આ ચુકાદો વિદેશમાં નોકરીનો સમયગાળો અને નોકરી શોધવાના સમયગાળા અંગે સ્પષ્ટતા કરે છે. આ બંને સમયગાળાને આધારે જ કોઇ વ્યક્તિ ટેક્સ રેસિડન્ટ છે કે નહીં તેનો નિર્ણય થઈ શકે છે. ભારતમાં ટેક્સ રેસિડેન્ટ હોય તેવા વ્યક્તિ તેની વૈશ્વિક આવક પર ટેક્સ ભરવો પડે છે.