પત્નીની ગોળી મારી હત્યા કરનારા વસોના પતિને આજીવન કેદની સજા

નડિયાદ, નડિયાદ કોર્ટમાં બે વર્ષ અગાઉ ખાધા ખોરાકીના કેસની મુદતમાં હાજરી આપી ઘરે પરત જતી પત્નીને ખેડાના વસો ગામના પતિએ બંદૂકની ગોળી મારી મોતને ઘાટ ઉતારી હતી. આ કેસમાં નડિયાદ સેશન્સ કોર્ટે ખેડાના વસો ગામના શખ્સને આજીવન કેદની સજા અને વિવિધ કલમો હેઠળ રૂ. ૧૫ હજારનો દંડ ફટકાર્યાે છે.
ખેડા જિલ્લાના વસોમાં ટેકરા ઉપર રહેતા રસિકભાઈ જેઠાભાઈ પરમારને લગ્ન બાદ મનમેળ ન આવતા યુવતીને ઘરમાંથી કાઢી મૂકી છૂટાછેડા માટે કોર્ટમાં કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન કઠલાલમાં રહેતા સુમીત્રાબેન રમણભાઈ પરમારની છુટાછેડા લીધેલી પુત્રી નિમિષાના સંપર્કમાં રસિક આવ્યો હતો. બંનેએ ૨૦૦૦માં લગ્ન કર્યા હતા. બંનેનું લગ્નજીવન સુખમય હતું. નિમિશા ૨૦૧૫માં ઇઝરાયેલ ગઈ હતી.
અઢી વર્ષ પછી વતનમાં પરત આવી વસોના બદલે નડિયાદ રહેવા લાગી હતી. રસિકના અગાઉના લગ્નથી થયેલા સંતાનો રસિકના ઘરે આવતા જતા હોવાથી નિમિષાને પસંદ ન હતું. આ બાબતને લઈ દંપતી વચ્ચે ઝઘડા થતા હતા. ઉપરાંત નિમિષાના નામે કરવામાં આવેલી મિલકત પણ ઝઘડાનું કારણ બની હતી. મારામારી થતા નિમિષાએ પતિ વિરુદ્ધ અગાઉ પણ ફરિયાદો નોંધાવી હતી.
નિમિષાએ પતિ વિરુદ્ધ નડિયાદ કોર્ટમાં ખાધા ખોરાકીનો કેસ કર્યાે હતો. જે ગત માર્ચ-૨૦૨૩માં ચાલવા પર આવ્યો હતો. તેની મુદત નિમિષાબેન ભરતા હતા. રસિક પત્ની નિમિષાને જો તું મારી વાત માની બધી મિલકત મારા નામે નહીં કરે અને મારી વિરૂધ્ધના કેસો પાછા નહીં ખેંચે તો હું તને છોડીશ નહીં, તને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપતા હોવાની જાણ નિમિષાએ માતાને કરી હતી.
નિમિષાની માતાની હાજરીમાં રસીકે નિમિશાને ગોળી મારી હત્યા કરવાની ધમકી આપી હતી.ગત તા.૧૫/૩/૨૦૨૩ના રોજ નિમિષા નડિયાદ કોર્ટમાં ચાલતા ખાધા ખોરાકીના કેસની મુદત પતાવીને પરત પોતાના ઘરે જતી હતી. ત્યારે નિમિષાના ઘર આગળ આવી રસીકે નિમિષા સાથે ઝઘડો કર્યાે હતો અને બંદૂકની ગોળી મારી મોતને ઘાટ ઉતારી હતી.SS1MS