Western Times News

Gujarati News

જાતિગત વસ્તી ગણતરી પહેલગામ હુમલાથી ધ્યાન ભટકાવવાનો સરકારનો પ્રયાસઃ કોંગ્રેસ

વસ્તી ગણતરીની સમયરેખા અને અમલની રૂપરેખા જાહેર કરવાની માગણી

કોંગ્રેસનું રાજકારણ હંમેશા તેના પરિવાર અને સત્તાની આસપાસ ફરતું રહ્યું છેઃ ભાજપ

નવી દિલ્હી,
જાતિગત વસ્તી ગણતરીના મુદ્દે ગુરુવારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ ચાલુ થયું હતું. કોંગ્રેસે સરકારના આ નિર્ણયને પહેલગામ હુમલાથી લોકોનું ધ્યાન બીજે ભટકાવવાની ભાજપની એક ચાલ ગણાવી હતી, જ્યારે ભાજપે જણાવ્યું હતું કે સરકારના આ નિર્ણયથી કેન્દ્રના સાચા ઇરાદા અને વિપક્ષના ઠાલા સૂત્રોચ્ચાર વચ્ચેના તફાવતનો પર્દાફાશ થયો છે. જાતિગત વસ્તી ગણતરીની સમયરેખા અને અમલની રૂપરેખા જાહેર કરવાની માગણી કરતાં કોંગ્રેસે જણાવ્યું હતું કે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેડલાઇન વગરની હેડલાઇન આપવામાં માસ્ટર છે. પત્રકાર પરિષદને સંબોધતાં કોંગ્રેસના મહાસચિવ અને પ્રસારણ પ્રભારી જયરામ રમેશે જણાવ્યું હતું કે આ નિર્ણય અંગે ઘણા સવાલો ઊભા થાય છે.

મોદી અને આરએસએસ પહેલા દિવસથી જ જાતિગત વસ્તી ગણતરીનો વિરોધ કરી રહ્યા છે. એટલા માટે ગઈકાલે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તે અચાનકનો નિર્ણય છે. જાતિગત વસ્તીગણતરીની માગણી કરનારાઓને ગયા વર્ષે શહેરી નક્સલ ગણાવ્યા પછી વડાપ્રધાને તેમનો સૌથી મોટો યુ-ટર્ન લીધો છે. યુ-ટર્ન લેવામાં પીએમની કોઈ સરખામણી થઈ શકે તેમ નથી. દેશ સમક્ષ સૌથી મોટો મુદ્દો પહેલગામ હત્યાકાંડ છે અને જ્યારે દેશ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ પાકિસ્તાન સામે વળતી કાર્યવાહીની રાહ જોઈ રહ્યો હતો, ત્યારે સરકાર જાતિ વસ્તી ગણતરીની જાહેરાત કરીને લોકોનું ધ્યાન બીજે ભટકાવવાનો પ્રયાસ કર્યાે છે. તેમણે અનામત પરની ૫૦ ટકાની મર્યાદા દૂર કરવા અને આ સંદર્ભમાં બંધારણીય સુધારો લાવવાની માગણી કરી હતી.

રમેશે ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં પણ અનામતની માગણી કરી હતી. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ૫૦ ટકા અનામતને મર્યાદાને દૂર કરીને ૬૮ ટકા અનામત લાવવાની માગણી કરી હતી. વિપક્ષના આક્ષેપોનો જવાબ આપતા ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે કોંગ્રેસનું રાજકારણ હંમેશા તેના પરિવાર અને સત્તાની આસપાસ ફરતું રહ્યું છે. જ્યારે પણ પછાત વર્ગાેના અધિકારોનો મુદ્દો ઉઠાવવામાં આવતો હતો ત્યારે તેઓ અસ્વસ્થતા અનુભવતા હતાં કારણ કે તેઓએ ક્યારેય સામાજિક ન્યાયની પરવા કરી ન હતી.

પાર્ટીએ કાકા કાલેલકર સમિતિ અને મંડલ કમિશનના અહેવાલોનો અમલ કર્યાે ન હતો. આ નિર્ણય અચાનક લેવામાં આવ્યો હોવાનો ઇનકાર કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘સબકા સાથ, સબકા વિકાસ’ મોદી સરકારનું માર્ગદર્શક વિઝન રહ્યું છે. સામાજિક ન્યાય અમારા બધા કાર્યક્રમો અને યોજનાઓનો ઉદ્દેશ્ય રહ્યો છે. સમાજના તમામ વર્ગાેને લાભો, સુવિધાઓ અને સગવડ પૂરી પાડવાનો અમારો ઉદ્દેશ્ય છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.