Western Times News

Gujarati News

આઈપીએલના નામે લોકો સટ્ટો અને જુગાર રમી રહ્યા છેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, આઇપીએલની આડમાં લોકો બેટિંગ અને ગેમ્બલિંગ કરી રહ્યા છે તેમ જણાવી સુપ્રીમ કોર્ટે બેટિંગ અપ્લીકેશન્સના નિયમન માટેની માગણી કરતી જાહેર હિતની અરજી (પીઆઇએલ) પર કેન્દ્રનો પ્રતિસાદ માગ્યો છે.

જોકે સાથે સુપ્રીમે એવી પણ ટિપ્પણી કરી છે કે કાયદો લોકોને જુગાર રમવાથી અટકાવી ન શકે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન કોતિસ્વર સિંહની બનેલી બેન્ચે કે એ પોલ દ્વારા ફાઇલ કરવામાં આવેલી અરજી પર કેન્દ્રને નોટિસ જારી કરી છે. આ અરજીમાં દાવો કરાયો છે કે ઓનલાઇન બેટિંગ અને ગેમિંગ અપ્લીકેશન્સનો ઉપયોગ કર્યા બાદ ઘણાં બાળકોએ આપઘાત કર્યાે છે.

પોલે વધુમાં ઉમેર્યું હતું કે સિગારેટ્‌સના કેસમાં તેના પેકિંગ પર તેની આડઅસરની સૂચના આપતી તસ્વીરો હોય છે. પરંતુ બેટિંગ એપ્સમાં આવી કોઇ ચેતવણી જારી કરાતી નથી. પૂર્વ ભારતીય ક્રિકેટરો હાલમાં ચાલી રહેલા આઇપીએલ દરમિયાન એપ્લીકેશન્સને પ્રમોટ કરી રહ્યા છે.બેન્ચે જણાવ્યું હતું કે ‘આઇપીએલના નામે, ઘણાં લોકો સટ્ટા અને જુગારમાં પ્રવૃત્ત છે. આ એક ગંભીર મુદો છે.’

અરજીમાં કોઇનું નામ લીધા વગર અરજીમાં જણાવ્યું છે કે ‘ગોડ ઓફ ક્રિકેટ’ પણ આવા બેટિંગ એપ્લીકેશન્સનો પ્રચાર કરે છે. બેન્ચે આ સ્થિતિને “સમાજની વિકૃતિ” તરીકે ગણાવીને પોતાની લાચારી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે કાયદો ઘડાય તો પણ લોકોને સ્વૈચ્છિકરીતે સટ્ટા રમવાથી અટકાવી નહિ શકાય. બેન્ચે ઉમેર્યું હતું કે ‘હાલના દિવસોમાં અમે આપણા બાળકોને ઇન્ટરનેટ આપ્યું છે.

તેઓ સ્કૂલોમાં પણ તેને લઇ જાય છે. વાલીઓ એક તો બાળકો બીજું ટીવી જુએ છે. આ સંપૂર્ણ સામાજિક વિકૃતિ છે. જ્યારે લોકો આવી પ્રવૃત્તિમાં સ્વૈચ્છિકરીતે જોડાતા હોય ત્યારે શું કરી શકાય?.

જોકે સૈદ્ધાંતિકરીતે અમે તમારી સાથે છીએ કે આ બંધ થવો જોઇએ. પરંતુ કદાચ તમને એવી ગેરમાન્યતા છ કે આને કાયદા થકી અટકાવી શકાય છે.’જસ્ટિસ કાંતે ઉમેર્યું કે ‘જેમ આપણે લોકોને હત્યા કરવા અટકાવી શકતા નથી તેમજ એક કાયદો લોકોને સટ્ટા કે જુગાર રમવાથી અટકાવી ન શકે.’ બેન્ચે કહ્યું કે તે કેન્દ્રને કહેશે કે આ મુદે શું કરી શકાય છે અને તેનો જવાબ લેવામાં આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.