અમદાવાદમાં ૩૪ સ્થળોએ પાણી ન ભરાય તે માટે રૂ.૮૩૬ કરોડના ખર્ચથી કામ ચાલી રહયા છે

File Photo
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને પ્રિ-મોન્સુન એકશન પ્લાન તૈયાર કર્યો
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ચોમાસાની સીઝનને ધ્યાનમાં રાખી પ્રિમોન્સુશન એકશન પ્લાન તૈયાર કરવામાં આવે છે જેમાં વરસાદી પાણીના ભરાવા, નીકાલ, ઝાડના ટ્રીનીંગ, બેનર હો‹ડગ્સ, મચ્છર નિયંત્રણ સહિત અનેક બાબતો પર ભાર મુકવામાં આવ્યો છે.
ખાસ કરીને વરસાદી પાણી ભરાવાના સ્થળોમાં ઘટાડો કરવો તેમજ જે જગ્યાએ પાણી ભરાય તે સ્થળથી ઝડપથી નિકાલ કરવાની કાર્યવાહી થાય તે અંગે કરોડો રૂપિયાના ખર્ચથી કામગીરી કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદમાં પણ ઠેરઠેર જળબંબાકાર થઈ જાય છે જેના કારણે નાગરિકોને ભારે હાલાકી થાય છે તેમાં પણ જો એક સાથે ૩ થી ૪ ઈંચ વરસાદ આવે તો સમગ્ર શહેર એક સાથે ઠપ થઈ ગયું હોય તેવો ભાસ થાય છે
અમદાવાદ શહેરમાં ર૦ર૪માં ચોમાસાની સીઝન દરમિયાન ૧૪૭ સ્થળે વરસાદી પાણી ભરાયા હતાં જે પૈકી ૩૪ સ્થળોએ પાણી ન ભરાય તે માટે રૂ.૮૩૬ કરોડના ખર્ચથી કામ ચાલી રહયા છે. ર૦ર૩ની સીઝન દરમિયાન શહેરમાં ૧૩૦ સ્થળે વરસાદી પાણી ભરાતા હતા પરંતુ નવા વિસ્તારોનો સમાવેશ થયા બાદ વોટર લોગીંગમાં પણ વધારો થયો છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અંડરપાસમાં પાણી ભરાઈ જવા તેમજ અંડરપાસ બંધ કરવાની સ્થિતિને ધ્યાનમાં લઈ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ચોમાસાની સીઝન દરમિયાન અંડરપાસમાં પાણી ભરાઈ જાય ત્યારે તેના દરવાજા ઓટોમેટીક બંધ થઈ જશે જેના કારણે મોટા અકસ્માત થતાં અટકશે. આ ઉપરાંત ૧૦ અંડરપાસ અને ૯ રેલવે અંડરપાસમાંથી વરસાદી પાણીના નિકાલ માટે કોન્ટ્રાકટ પણ આપવામાં આવ્યા છે.
આ ઉપરાંત દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસા પહેલા કેચપીટ અને મશીન હોલની સફાઈના ત્રણ રાઉન્ડ પુરા કરવામાં આવશે જેના કારણે વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થઈ શકે. જે વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર લાઈનમાં અનઅધિકૃત જોડાણ થઈ રહયા છે તે જોડાણો તાકીદે દુર કરવામાં આવશે જેથી તેમાં પણ પાણીની વહન ક્ષમતામાં વધારો થઈ શકે.
પ્રિમોન્સુન એકશન પ્લાનની આ મીટીંગ શહેર મેયર પ્રતિભાબેન જૈનના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિગ ચેરમેન દેવાંગ દાણી, પક્ષ નેતા ગૌરાંગ પ્રજાપતિ, દંડક શીતલબેન ડાગા સહિત તમામ ડેપ્યુટી કમિશનર, ઈજનેર અધિકારીઓ અને તમામ કમિટી ચેરમેન ઉપસ્થિત રહયા હતા.