Western Times News

Gujarati News

સોનમ વાંગચુકે આપ્યું કેન્દ્ર સરકારને અલ્ટીમેટમ, ‘કોકરોચ જનતા પાર્ટી’ના સમર્થનમાં ઉતરશે રસ્તા પર

નવી દિલ્હી: દેશના રાજકારણ અને સોશિયલ એક્ટિવિઝમ ક્ષેત્રે એક ખૂબ જ મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. લદ્દાખના જાણીતા શિક્ષણશાસ્ત્રી અને સોશિયલ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે હવે ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ની માંગણીઓ અને તેમની વિચારધારાને ખુલ્લું સમર્થન આપી દીધું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગેની સત્તાવાર જાહેરાત કરીને સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે.

વાંગચુક અને CJP ફાઉન્ડર વચ્ચે થઈ વિગતવાર ચર્ચા

સોનમ વાંગચુકે એક વીડિયો મેસેજ જારી કરીને જણાવ્યું છે કે, તેમણે CJP ના ફાઉન્ડર અભિજીત દીપકે સાથે વિગતવાર વાતચીત કરી છે. વાંગચુકે ઉમેર્યું કે,

“અભિજીત એક સાચા દેશપ્રેમી છે અને દેશમાં સકારાત્મક બદલાવ ઈચ્છે છે. તેમની આ ચળવળ દેશના યુવાધનના અવાજને વાચા આપનારી છે.”

કેન્દ્ર સરકારને મોટું અલ્ટીમેટમ

આ સાથે જ સોનમ વાંગચુકે કેન્દ્ર સરકારને એક મોટું અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું છે કે, જો 5 જૂન સુધીમાં દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું નહીં આપ્યું, તો તેઓ પોતે 6 જૂને દિલ્હીના જંતર-મંતર પર પહોંચશે અને CJP ના વિરોધ પ્રદર્શનમાં પ્રત્યક્ષ રીતે સામેલ થશે. વાંગચુક જેવા મોટા ગજાના એક્ટિવિસ્ટના આ નિર્ણયથી કેન્દ્ર સરકાર પર દબાણ વધી ગયું છે.

અભિજીત દીપકે અમેરિકાથી ભારત પરત ફરશે

બીજી તરફ, CJP ના ફાઉન્ડર અભિજીત દીપકે આગામી 6 જૂને અમેરિકાથી ભારત પરત ફરી રહ્યા છે. ભારત આવ્યા બાદ તેઓ એરપોર્ટથી સીધા જ દિલ્હીના પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન જશે. ત્યાં તેઓ આ વિરોધ પ્રદર્શનને શાંતિપૂર્ણ અને કાયદેસર રીતે યોજવા માટે પોલીસ પ્રશાસન પાસેથી પરવાનગી માંગશે.

અભિજીત દીપકેએ દેશના યુવાનો અને નાગરિકોને અપીલ કરતા કહ્યું છે કે, શિક્ષણ વ્યવસ્થામાં સુધારા અને જવાબદારી નક્કી કરવાના આ આંદોલનમાં તેઓ મોટી સંખ્યામાં જોડાય અને લોકશાહી ઢબે પોતાનો અવાજ બુલંદ કરે. સોનમ વાંગચુકના જોડાવાથી આ આંદોલન હવે રાષ્ટ્રીય સ્તરે એક મોટો વળાંક લઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.