૨૦૦૦ની તમામ નોટો હજુ સુધી પરત આવી નથીઃ રિઝર્વ બેન્ક

(એજન્સી)મુંબઈ, રિઝર્વ બેંક દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ ચલણ પાછું ખેંચ્યાના બે વર્ષ પછી પણ રૂ. ૬,૧૮૧ કરોડના મૂલ્યની ૨૦૦૦ની નોટો હજુ પણ ચલણમાં છે.
જોકે, આ સાથે રિઝર્વ બેંકે કહ્યું કે રૂ. ૨૦૦૦ની બેંક નોટો કાયદેસર (લીગલ ટેન્ડર) રહેશે. આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચલણમાં રહેલી ૨૦૦૦ની નોટોનું કુલ મૂલ્ય, જે ૧૯ મે, ૨૦૨૩ના રોજ કારોબારના અંતે રૂ. ૩.૫૬ લાખ કરોડ હતું, તે ૩૧ મે, ૨૦૨૫ના રોજ કારોબારના અંતે ઘટીને ૬,૧૮૧ કરોડ થઈ ગયું હતું.કેન્દ્રીય બેંકે જણાવ્યું હતું કે આમ, ૧૯ મે, ૨૦૨૩ના રોજ ચલણમાં રહેલી ૨૦૦૦ની નોટોમાંથી ૯૮.૨૬ ટકા પરત આવી ગઈ છે.
રિઝર્વ બેંકે સમયાંતરે લોકોને અપીલ કરી છે કે જો કોઈની પાસે ૨૦૦૦ની નોટો હોય, તો તેઓ તેને આરબીઆઈમાં જમા કરાવે અને તેને બદલી નાખે.૭ ઓક્ટોબર, ૨૦૨૩ સુધી તમામ બેંક શાખાઓમાં ૨૦૦૦ની નોટો જમા કરાવવા અને/અથવા બદલવાની સુવિધા ઉપલબ્ધ હતી. જોકે, આ સુવિધા હજુ પણ રિઝર્વ બેંકના ૧૯ ઇશ્યુ ઓફિસો અથવા પ્રાદેશિક ઓફિસોમાં ઉપલબ્ધ છે.
૯ ઓક્ટોબર, ૨૦૨૩થી આરબીઆઈ ઇશ્યુ ઓફિસો પણ વ્યક્તિઓ અને સંસ્થાઓ પાસેથી ૨૦૦૦ની નોટો તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે સ્વીકારી રહી છે. ઉપરાંત લોકો દેશના કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી ભારતીય પોસ્ટ દ્વારા આરબીઆઈના કોઈપણ ઇશ્યૂ ઓફિસમાં ૨૦૦૦ની નોટ મોકલી શકે છે જેથી તેઓ તેમના બેંક ખાતામાં જમા કરાવી શકે.