અમદાવાદ ૩ ઇંચ વરસાદમાં સ્વીમીંગ પુલ બની જાય છેઃ કોંગ્રેસ

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ચોમાસામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા હોય છે તેમજ નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. અને અમદાવાદ શહેર સ્વિમિંગ પુલ સીટી બની જાય છે. શહેરમાં ૩૨૦૦ કિલોમીટરના રોડ હોવા છતાં પણ માત્ર ૯૮૦ કિમીમાં જ વરસાદી પાણીની લાઈન નાખવામાં આવી છે.
મ્યુનિસિપલ શાસકો એ છેલ્લા ૧૦ વર્ષમાં માત્ર ૫૬ કિલોમીટરની જ વરસાદી લાઈન નાખી છે. જે પરથી સ્પષ્ટ જણાય છે કે પ્રિમોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર જ કરવામાં આવે છે. જો આગામી ચોમાસામાં જે તે ઝોનમાં વરસાદી પાણી ભરાશે તો કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નાગરિકો દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવશે તેવી ચેતવણી મ્યુનિ. કોંગ્રેસ ઘ્વારા આપવામાં આવી છે.
મ્યુનિ. વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે સ્માર્ટ સિટી અમદાવાદમાં સૌથી મોટી સમસ્યા વરસાદી પાણીના નિકાલની છે.એ.સી. કેબિનમાં બેસી અધિકારીઓ પ્રિ મોન્સુન પ્લાન બનાવે છે. જેના કારણે એક ઇંચ વરસાદમાં પણ અમદાવાદ સ્વિમિંગ પૂલ બની જાય છે. ૩ વર્ષ પહેલા જાહેરાત કરી હતી કે ૩ હજાર કરોડના વર્લ્ડ બેંકના લોનથી સ્ટ્રોમ વોટર લાઇનનું કામ કરીશું પરંતુ આજ સુધી કામ થયું નથી.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તળાવોને ઇન્ટર લિંક કરવાની વાતો કરી છે પરંતુ આજે પણ તળાવ ખાલી છે. અમદાવાદ શહેર ૪૮૦ સ્ક્વેર કિલોમીટર છે. જેમાં ૩૨૦૦ કિમીના રોડ પર ૯૨૩ કિમીની સ્ટ્રોમ વોટર લાઇન નાખી છે. વર્ષ ૨૦૨૩- ૨૪માં માત્ર ૯૮૦ કિલોમીટર નાખવામાં આવી છે.
૧૦ વર્ષમાં સત્તાધીશોએ માત્ર ૫૬ કિમીની સ્ટ્રોમ વોટર લાઇનનું કામ કર્યું છે. ૧૨૪ કરોડ ખર્ચ નો દાવો કરે છે. ૩ હજાર કરોડની વર્લ્ડ બેન્ક ની લોન લેવામાં આવી હતી અને વરસાદી પાણીની લાઈન નાખવાની વાતો કરી હતી ત્યારે આ લોન નું શું કર્યું. આગામી ચોમાસામાં જો હવે વરસાદી પાણી ભરાશે તો કોંગ્રેસ તેમજ પ્રજા સાથે મળી અને જે તે ઝોનમાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવશે.