ગોધરા સેવાસદન ખાતે અરજદારો અને કર્મચારીઓનો હોબાળો

એ.ટી.વી.ટી વિભાગમાં સ્ટાફની અછતના કારણે કામગીરી ઠપ્પ-સ્ટાફ ઓછો અને કામનું ભારણ વધુ હોવાથી કર્મચારીઓએ પણ મુશ્કેલી
(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા શહેરના સેવાસદન ખાતે આવેલ મામલતદાર કચેરીના એ.ટી.વી.ટી (છ્ફ્) વિભાગમાં છેલ્લા કેટલાક સમય થી સ્ટાફની અછતના કારણે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આજ રોજ પણ આવકના દાખલા, જન્મમૃત્યુ દાખલાઓ તથા અન્ય વિવિધ સરકારી સેવાઓ માટે આવેલ અરજદારોએ હોબાળો મચાવ્યો હતો.
વિભાગમાં પુરતા કર્મચારીઓની નિમણૂક ન થતાં કામકાજ યોગ્ય રીતે ચાલી શકતું નથી. સ્ટાફ ઓછો અને કામનું ભારણ વધુ હોવાથી કર્મચારીઓએ પણ મુશ્કેલી અનુભવી હતી. કંટાળી ગયેલા કર્મચારીઓએ આ મુદ્દે પોતાનો રોષ વ્યક્ત કરતાં, પોતાના ચેમ્બરમાંથી બહાર આવી કામગીરી અટકાવી દીધી હતી. જેના કારણે કામગીરી થંભી જતાં અરજદારોને સતત રાહ જોવી પડી હતી.
અરજદારોનો આક્ષેપ છે કે, “અમે સવારે ૧૦ વાગ્યાથી અહીં આવીને બેસેલા છીએ, પરંતુ ૩ વાગ્યા પણ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. કોઈ જવાબદાર અધિકારી પણ ઉપલબ્ધ નથી.”વિભાગના કર્મચારીઓએ જણાવ્યું હતું કે, નવી નિમણૂક થયેલી એજન્સી દ્વારા પુરતા કર્મચારીઓ મુકવામાં આવતા નથી. તેમને આ અંગે એજન્સી અને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત પણ કરી છે,
છતાં હજુ સુધી કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. બીજી તરફ સ્થિતિ સુધરવાની આશા સાથે અરજદારો રોજ અહીં આવે છે, પણ નિયમિત સેવા ન મળતા લોકો માં નારાજગી વધતી જાય છે. તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી સ્ટાફની પૂર્તિ કરી અરજદારોને સરકારી સેવાનો લાભ મળે તેવી માગં ઉઠવા પામી છે.