બિહાર સહિત પૂર્વાેત્તર ભારતમાં મેઘ તાંડવથી તબાહી સર્જાઈઃ ૩૨નાં મોત

આસામમાં ચારેબાજુ પાણી જ પાણી, વધુ છ લોકોનાં મૃત્યુ
સિક્કિમના છાતેન આર્મી કેમ્પ વિસ્તારમાં ભૂસ્ખલનને લીધે આર્મીના ત્રણ જવાનોના દટાઈ જવાથી મોત નિપજ્યા હતા
પટણા/આઇઝોલ,દેશમાં બિહાર તેમજ પૂર્વાેત્તર ભારતના વિસ્તારોમાં અવિરત વરસાદને લીધે પરિસ્થિતિ વિકટ બની છે. મેઘ તાંડવને લીધે કેટલાક રાજ્યોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભૂસ્ખલન, ઝાડ અને વીજળી પડવાની વિવિધ ઘટનાઓમાં કુલ ૩૨ લોકોના મોત થયા છે. મંગળવારે બિહારના સિવાન જિલ્લામાં કરા સાથે અતિભારે વરસાદે સાત લોકોનો ભોગ લીધો હતો. આસામમાં પૂરના પ્રકોપને લીધે સ્થિતિ સૌથી વધુ કફોડી થઈ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી રાજ્યમાં ચારેકોર પાણી જ પાણી નજરે પડે છે. આસામમાં ૬.૩૧ લાખ લોખો પૂરથી પ્રભાવિત થયા છે. રાજ્યમાં વધુ છ લોકોના મોત પણ થયા છે. અરૂણાચલ પ્રદેશમાં વરસાદ સંલગ્ન ઘટનાઓમાં ૧૦ લોકોના તથા મિઝોરમમાં પાંચ, અને મણિપુરમાં એક વ્યક્તિનું મોત થયું હોવાની વિગતો છે. સિક્કિમના છાતેન આર્મી કેમ્પ વિસ્તારમાં ભૂસ્ખલનને લીધે આર્મીના ત્રણ જવાનોના દટાઈ જવાથી મોત નિપજ્યા હતા.
બિહારના રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન વિભાગ (ડીએમડી)ના જણાવ્યા મુજબ સિવાન જિલ્લામાં ભારે કરા સાથે વરસાદ ખાબકતાં સંખ્યાબંધ ઘરોના છાપરા ઉડી ગયા હતા જ્યારે અનેક સ્થળે ઝાડ પડવાના બનાવો સામે આવ્યા હતા. બરહરિયા, બસંતપુર, લાકરી નબીગંજ અને ગોરૈયા પ્રભાવિત ક્ષેત્રો છે. રાજ્યમાં સાત લોકોના મોત નિપજ્યા છે. એપ્રિલમાં બિહારના વિવિધ ભાગોમાં વીજળી પડવાથી અને વાવાઝોડાને પગલે ૯૦ લોકોના મોત થયા હોવાનું ડીએમડીએ જણાવ્યું હતું. નાલંદા સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્ર રહ્યું છે જ્યાં એક મહિનામાં ૨૩ લોકોનાં મોત થયા હતા. આસામમાં પૂરને પગલે સ્થિતિ કફોડી થઈ છે અને મંગળવારે વધુ છ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આસામમાં પૂરને પગલે અત્યાર સુધીમાં મૃત્યુઆંક વધીને ૧૭ પર પહોંચી ગયો છે. રાજ્યના ૨૧ જિલ્લાઓમાં મળીને ૬.૩૧ લાખ લોકો પ્રભાવિત થયા છે. રાજ્યમાં સાત નદીઓ જોખમી સ્તરથી ઉપર વહી રહી છે.
કટખલ નદી પૂરના જોખમી સ્તરથી ઉપર પહોંચી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂરની સ્થિતિની માહિતી મેળવી હતી અને મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સર્માને કેન્દ્ર તરફથી તમામ મદદનું આશ્વાસન આપ્યું હતું. શ્રીભૂમી જિલ્લામાં ૨.૩૧ લાખ લોકો પ્રભાવિત થયા હોવાનું સ્થાનિક તંત્રએ જણાવ્યું હતું. ઉત્તર સિક્કમમાં વરસાદને લીધે ભૂસ્ખલન થવાથી લાચુંગ તથા ચુંગથાંગમાં ફસાયેલા ૧,૬૭૮ પ્રવાસીઓને સુરક્ષિત બચાવવામાં આવ્યા હતા. લાચેન ખાતે વધુ ૧૦૦ જેટલા પ્રવાસીઓ ફસાયા હોવાની વિગતો છે. સિક્કિમના છાતેન આર્મી કેમ્પ ક્ષેત્રમાં મંગળવારે ભૂસ્ખલન થયું હોવાથી ત્રણ જવાનના મોત થયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ છ જવાનો ગુમ થયા છે. મૃતકોની ઓળખ લખવિંદર સિંહ, લાન્સ નાયક મનીષ ઠાકુર અને પોર્ટર અભિષેક લખાડા તરીકે થઈ છે. વરસાદ ચાલુ હોવાથી પડકારો વચ્ચે પણ છ જવાનોની શોધખોળની કામગીરી ચાલુ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.SS1