Western Times News

Gujarati News

સુપ્રીમ કોર્ટે મહિલાના ભરણપોષણની રકમ રૂ.એક લાખથી વધારી રૂ.પાંચ લાખ કરી

છુટાછેડાની સ્થિતિમાં આશ્રિત જીવનસાથીને કોઈ આધાર વિના ન છોડી શકાયઃ સુપ્રીમ કોર્ટ

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે કે કાયમી ભરણપોષણ આપવું તે જીવનસાથીને સજા કરવાની પધ્ધતિ ન હોઈ શકે પરંતુ તેનો મુળ ઉદ્દેશ છે કે લગ્નવિચ્છેદની સ્થિતીમાં આશ્રિત જીવનસાથીને કોઈ પણ પ્રકારના આધાર વિના ન છોડી શકાય.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે ભરણપોષણની રકમ એક લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરી બંને પક્ષોના હિત વચ્ચે ન્યાયપૂર્ણ સંતુલન જાળવવાની જરૂરીયાત પર ભાર મુક્યો હતો.

કોર્ટ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ સામે પત્ની દ્વારા અપીલની તપાસ કરી રહી હતી. હાઈકોર્ટે ફરીદાબાદ કોર્ટ દ્વારા છુટાછેડાના હુકમનામાની પુષ્ટિ કરતી વખતે તેને ફક્ત એક લાખ રૂપિયા કાયમી ભરણપોષણ તરીકે આપ્યા હતા. કોર્ટે ભરણપોષણની માત્રા સંબંધમાં પરવીન કુમાર જૈન વિરૂધ્ધ અંજુ જૈન (૨૦૨૫)કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદા પર આધાર રાખ્યો હતો. જેમાં કાયમી ભરણપોષણ આપવા માટે કોર્ટે ધ્યાનમાં લેવાતા પરિબળોની યાદી બહાર પાડી હતી.

તે પરિબળોમાં પક્ષકારોની સ્થિતિ, પત્ની અને બાળકોની વ્યાજબી જરૂરિયાતો, વ્યક્તિગત લાયકાત અને રોજગારનો દરજ્જો, સ્વતંત્ર આવક અને સંપત્તિ, પત્નીના જીવનધોરણ વગેરેનો સમાવેશ થતો હતો. બેન્ચે રજનીશ વિરૂધ્ધ નેહા કેસનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યુ હતું કે કાયમી ભરણપોષણની ગણતરી કરતી વખતે પતિ કમાતો ન હોય તે હકીક તેને પત્નીને ભરણપોષણ આપવાની જવાબદારીમાંથી મુક્ત કરતી નથી.

આ વિષય પરના કાયદાની વિચારણા કર્યા પછી બેન્ચે ઠરાવ્યું કે, અમારૂં માનવું છે. કે હાઈકોર્ટનો એક લાખ રૂપિયાનો કાયમી ભરણપોષણનો નિર્ણય અપૂરતો છે. કેસના તથ્યો અને સંજોગોને ધ્યાનમાં રાખીને

અને છુટાછેડા આપવા અંગે ફેમિલી કોર્ટ અને હાઈકોર્ટ બંનેના અંતિમ નિષ્કર્ષમાં દખલ કર્યા વિના બેન્ચે પ્રતિવાદી-પતિ દ્વારા ચુકવવામાં આવનાર કાયમી ભરણપોષણમાં વધારો કર્યો હતો. તમામ દાવાઓના સંપૂર્ણ અને અંતિમ સમાધાર તરીકે પાંચ લાખ રૂપિયાની ચુકવણી સાથે કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ભરણપોષણ સંબંધિત અન્ય કાર્યવાહી સ્થગિત રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.