હવે રેલવેમાં તત્કાલ ટિકિટ લેવા માટે ઓનલાઇન બૂકિંગ સરળ થશે

તત્કાલ ટિકિટના ઓનલાઇન બૂકિંગ માટે આધાર વેરિફિકેશન ફરજિયાત-IRCTC એકાઉન્ટ આધાર સાથે લિંક હશે તો પહેલી ૧૦ મિનિટમાં ટિકિટ લેવાની તક
નવી દિલ્હી, ભારતીય રેલ્વે મંત્રાલયે તત્કાળ ટિકિટ બૂક કરાવવાને લઈને મોટો ફેરફાર કર્યો છે. હવે તત્કાળ ટિકિટ બૂક કરાવતી વખતે યુઝરે પોતાનું વેરિફિકેશન કરવું પડશે. તેના વગર તત્કાળ ટિકિટ બૂક નહીં કરી શકાય. આ જાણકારી રેલ્વે મંત્રાલય અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પર આપી હતી.
પ્રવાસીઓએ હવે તત્કાળ ટિકિટ બૂક કરાવતી વખતે ઇ-આધાર ઓથેન્ટિફિકેશન કરવું પડશે. આ ઇ-આધાર ઓથેન્ટિફિકેશન એક પ્રકારનું વેરિફિકેશન હશે, જે ટિકિટ બૂક કરાવી રહેલા વ્યક્તિના આધાર કાર્ડ દ્વારા થશે. દલાલો થતાં ગેરકાયદેસર રીતે થતાં બૂકિંગને રોકવા માટે આ પ્રકારે ઇ-આધાર લાવવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે તત્કાળ ટિકિટ બૂક કરવામાં આવતા આઇઆરસીટીસીની વેબસાઇટ પર ઝડપથી આ ટિકિટો વેચાઈ જતી હતી. આવું દલાલો દ્વારા ગેરકાયદેસર રીતે ટિકિટ બૂક કરાવવાના કારણે થતું હતું. હવે સરકારે તેના પર સકંજો કસ્યો છે.
આવું નવી રીતે લાગુ થયા પછી દરેક પ્રવાસીઓ તેની ઓળખ ડિજિટલ ધોરણે પ્રમાણિત કરવી પડશે. તેના માટે આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવશે. તેના પછી યુઝરને ઓટીપી આવશે. આ ઓટીપી વગર તત્કાળ ટિકિટ બૂક નહીં થઈ શકે. તેના કારણે બનાવટી બૂકિંગ અને બોટ દ્વારા ટિકિટ ખરીદવાની ઘટના રોકી શકાશે.
આ સિસ્ટમની ખાસ વાત એ હશે કે પહેલી દસ મિનિટ સુધી તે જ તત્કાલ ટિકિટ બૂક કરાવી શકશે જેનું આઇઆરસીટીસી એકાઉન્ટ આધાર સાથે જોડાયેલું હશે. આ દસ મિનિટ દરમિયાન આઇઆરસીટીસીના એજન્ટને પણ ટિકિટ બૂક કરવાની છૂટ નહીં હોય. સરકારના આ પગલાંથી સામાન્ય લોકોને ઘણી રાહત થશે.