વિશ્વમાં બોઈંગ ૭૮૭-૮ ડ્રીમલાઈનર ક્રેશ થયું હોવાનો આ સૌપ્રથમ બનાવ

૨૦૨૪માં દક્ષિણ કોરિયામાં બોઈંગનું વિમાન ક્રેશ થયું હતું જેમાં ૧૮૦ લોકોએ જીવ ગુમાવ્યો હતો
અમદાવાદની ઘટનાથી બોઈંગ વિમાનની સુરક્ષા પર સવાલો ઉઠ્યા
અમદાવાદ,અમદાવાદમાં એર ઈન્ડિયાનું લંડન જતું વિમાન ગણતરીની સેકન્ડમાં ધડાકાભેર તૂટી પડ્યું હતું. એરપોર્ટ નજીકના રહેણાક વિસ્તારમાં પડ્યા બાદ વિમાન અગનગોળામાં લપેટાઈ જતા નોંધપાત્ર ખુંવારી થઈ હતી. એર ઈન્ડિયાનું જે પ્લેન ક્રેશ થયું તે બોઈંગ કંપનીનું ૭૮૭-૮ પ્રકારનું એરક્રાફટ હતું. વિશ્વમાં બોઈંગ ૭૮૭-૮ વિમાન તૂટી પડ્યું હોવાની આ સૌપ્રથમ ઘટના હોવાનું મનાય છે. આ સાથે જ ડ્રીમલાઈનર કંપનીના બોઈંગ વિમાનોની સુરક્ષા પર પણ ફરી સવાલો ઉભા થયા છે.
બોઈંગ ૭૮૭-૮ ડ્રીમલાઈન જેવા આધુનિક અને સુરક્ષિત ગણાતા વિમાનનું ટેકઓફની ગણતરીની સેકન્ડમાં ક્રેશ થવું સમગ્ર ઉડ્ડયન ઉદ્યોગ ક્ષેત્ર માટે એક આંચકારૂપ છે. એવિએશન સેફ્ટી નેટવર્કના ડેટાના મતે અમદાવાદની દુર્ઘટનામાં બોઈંગનું આ પ્રકારનું એરક્રાફ્ટ તૂટ્યું હોવાનો સૌથી ગોઝારો બનાવ છે. અગાઉ પણ અનેક વખત બોઈંગ વિમાન ક્રેશ થયા હોવાના બનાવો બન્યા છે. ૨૦૨૪માં દક્ષિણ કોરિયામાં બોઈંગનું વિમાન ક્રેશ થયું હતું જેમાં ૧૮૦ લોકોએ જીવ ગુમાવ્યો હતો.
જાન્યુઆરી ૨૦૧૩માં બોઈંગ ૭૮૭ જેને ભવિષ્યનું એરક્રાફ્ટ તરીકે રજૂ કરાય છે તેની સૌથી મોટી ગરબડ સામે આવી હતી. જાપાનની ઓલ નિપોન એરવેય્ઝ અને જાપાન એરલાઈન્સની ફ્લાઈટ્સમાં લિથિયમ-આયન બેટરી પેકમાં લીકેજની સમસ્યા હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ અમેરિકાના ફેડરલ એવિયેશન એડમિનિસ્ટ્રેશન (એફએએ)એ સમગ્ર દુનિયામાં ડ્રીમલાઈનરની ઉડાન પર રોક લગાવી હતી. જ્યારે ગત વર્ષે જાન્યુઆરીમાં ચાલુ ફ્લાઈટમાં ૭૩૭ મેક્સના દરવાજાનો પ્લગ ઉડી ગયો હતો.
૨૦૧૮ અને ૨૦૧૯માં બોઈંગ ૭૩૭ મેક્સ એરક્રાફ્ટ ક્રેશ થયા હતા.આ દુર્ઘટનામાં લાયન એરની ફ્લાઈટ ૬૧૦ અને ઈથોપિયન એરલાઈનની ફ્લાઈટ ૩૦૨ સામેલ હતી અને તેમાં અનુક્રમે ૧૮૯ અને ૧૫૭ લોકોએ જીવ ગુમાવ્યા હતા. એક રિપોર્ટ મુજબ વિશ્વભરમાં છ હજાર દુર્ઘટના અને વિમાની ઘટનામાં બોઈંગ સામેલ છે. આમાં ૪૧૫ ઘાતક દુર્ઘટના હતી અને નવ હજાર લોકોના મૃત્યુ થયા છે.ss1