PM મોદી સ્વ. વિજયભાઈ રૂપાણીના પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી

ગાંધીનગર, પ્રધાનમંત્રી @narendramodi એ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી. વિજયભાઈની અણધારી વિદાયથી ભારતીય જનતા પાર્ટીને ક્યારેય પૂરી ન શકાય તેવી મોટી ખોટ પડી છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજયભાઈનું અમૂલ્ય યોગદાન અને સંવેદનશીલ નેતૃત્ત્વ ગુજરાતની જનતા સદાય યાદ રાખશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી લખ્યુ હતું કે, તેઓને સોંપાયેલ દરેક ભૂમિકામાં, તે પછી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હોય કે રાજ્યસભાના સાંસદ તરીકેની હોય, પ્રદેશ ભાજપના પ્રમુખની હોય કે પછી રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી અને મુખ્યમંત્રી તરીકેની હોય, તેઓએ દરેક વખતે એક અનોખો ચીલો ચાતર્યો હતો.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવદેહને DNA મેચ બાદ રાજકોટ લઈ જવાશે
3 દિવસ બાદ અંતિમવિધિની સંભાવના : વિજયભાઈના બહેનનું DNA સેમ્પલ લેવાયું : રાજકીય નેતાઓ અને અધિકારીઓ ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને સાંત્વના પાઠવવા ઉમટ્યા
અમદાવાદ: એર ઇન્ડિયાનું એક પેસેન્જર પ્લેન બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ પર ધડાકાભેર ક્રેશ થયું, જેમાં અનેક નિર્દોષ લોકોના જીવ હણાયા. આ કરુણ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થતા સમગ્ર દેશ – રાજ્ય શોકમાં ગરકાવ થઈ ગયું છે.
વિમાન ક્રેશ થતા જ તેમાં ભીષણ આગ લાગી ગઈ હતી, અને હોસ્ટેલ પર પડવાને કારણે ત્યાં હાજર કેટલાક વિદ્યાર્થીઓને પણ ઈજા થઈ હોવાના અહેવાલ છે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન બાદ તેમના ધર્મપત્ની અંજલિ રૂપાણી પણ લંડનથી અમદાવાદ પહોંચ્યા હતા. #VijayRupani #AhmedabadPlaneCrash pic.twitter.com/Xt28fYbSRn
— DD News Gujarati (@DDNewsGujarati) June 13, 2025
વિજયભાઈ રૂપાણીની અંતિમવિધિ રાજકોટમાં: વિજયભાઈ રૂપાણીના દીકરા ઋષભ રૂપાણી શનિવારે સવારે ૪ વાગ્યે અમદાવાદ પહોંચશે. પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા હોવાથી, તેમના બહેનનું DNA સેમ્પલ ડોકટરોની ટીમ દ્વારા તેમના નિવાસસ્થાને જ લેવામાં આવ્યું છે. DNA મેચિંગ થયા બાદ પાર્થિવદેહ પરિવારને સોંપવામાં આવશે. ત્યારબાદ, મૃતદેહને ગાંધીનગરથી રાજકોટ લઈ જવામાં આવશે, જ્યાં 3 દિવસ બાદ તેમની અંતિમવિધિ સંપન્ન થવાની સંભાવના છે.
આ દુઃખદ સમાચાર મળતા જ રાજકીય ક્ષેત્રે શોકનો માહોલ છવાઈ ગયો છે. કૃષિમંત્રી રાઘવજી પટેલ, ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન, પરશોત્તમ રૂપાલા અને તેમની પત્ની, અમદાવાદ પશ્ચિમના પૂર્વ સાંસદ ડો. કિરીટ સોલંકી સહિતના અગ્રણીઓ વિજયભાઈ રૂપાણીના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને સાંત્વના આપવા પહોંચી રહ્યા છે. આ ઉપરાંત, કેટલાક સિનિયર IAS અધિકારીઓ પણ વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને પહોંચીને શોક વ્યક્ત કરી રહ્યા છે અને શોકગ્રસ્ત પરિવારને આશ્વાસન આપી રહ્યા છે.