રાજસ્થાનના પૂર્વ મંત્રી, સંબંધીઓની ૪૭ કરોડની મિલકતો ઈડીએ જપ્ત કરી

૨૪ એપ્રિલ ૨૦૨૫ના રોજ ઈડીએ જોશીની ધરપકડ કરી હતી
રૂ.૧,૦૦૦ કરોડના જળ જીવન કૌભાંડમાં કોંગ્રેસના પૂર્વ મંત્રી મહેશ જોશી ફરતે ગાળિયો કસાયો
નવી દિલ્હી, એન્ફોર્સમેન્ટ ડિરેકોરેટ (ઈડી)એ રાજસ્થાનના કોંગ્રેસના પૂર્વ મંત્રી મહેશ જોશી અને સંબંધીઓની રૂ. ૪૭.૮૦ કરોડની મિલકતો ટાંચમાં લીધી હોવાનું જણાવ્યું હતું. ઈડીની જયપુર ઝોનલ કચેરીએ ૧૧ જૂને દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલના સ્તરે કૃષિ જમીન, રહેણાક મકાન સહિતની સ્થાવર/જંગમ મિલકતો જપ્ત કરી છે.
કોંગ્રેસના નેતા મહેશ જોશી, પદમચંદ જૈન, મહેશ મિત્તલ, સંજય બડાયા તથા વિશાલ સક્સેના સહિત તેમના પરિવારજનો અને સહયોગીઓની પેઢીઓ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા.મહેશ જોશી અગાઉ રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકારમાં મંત્રી પદે હતા. જળ જીવન મશિન કૌભાંડ અંતર્ગત એક હજાર કરોડની ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ છે.
ઈડીએ જણાવ્યું હતું કે, પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, ૨૦૦૨ અંતર્ગત જયપુરના વિવિધ વિસ્તારમાં રહેલી મિલકતોને ટાંચમાં લેવાઈ છે. મની લોન્ડરિંગનો કેસ રાજસ્થાન એન્ટિ કરપ્શન બ્યુરો (એસીબી)એ પૂર્વ મંત્રી જોશી અને ૨૨ અન્યો વિરુદ્ધ દાખલ કરેલા ભ્રષ્ટાચારના કેસ સાથે સંલગ્ન છે.મહેશ જોશી ગેહલોતના વડપણ હેઠળની કોંગ્રેસની સરકારમાં જાહેર આરોગ્ય ઈજનેરી વિભાગના મંત્રી હતા. ૨૪ એપ્રિલ ૨૦૨૫ના રોજ ઈડીએ જોશીની ધરપકડ કરી હતી. SS1