AIની ફ્લાઇટમાં ફસાયેલા મુસાફરોને 5 કલાક સુધી ખાવા-પીવાનું ન મળ્યું

દુબઇ-જયપુરની ફ્લાઇટ ટેકનિકલ ખામીને મોડી પડી
લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા પછી ટેકનિકલ ખામી દૂર થઈ અને મોડી રાત્રે ૧૨-૪૪ કલાકે ફ્લાઇટ દુબઈથી રવાના થઈ હતી
જયપુર,એર ઈન્ડિયા એકક્સપ્રેસની વધુ એક બેદરકારી સામે આવી છે. દુબઈથી જયપુર જઇ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ઈન્ટરનેશનલ ફ્લાઇટમાં ટેકનિકલ ખામીને લીધે મુસાફરોને લગભગ પાંચ કલાક સુધી વિમાનમાં જ બેસી રહેવું પડ્યું હતું. આ દરમિયાન એર કન્ડીશનર(એસી) ચલાવવામાં આવ્યું નહીં અને યાત્રીને પીવાનું પાણી કે ખાવાનું પણ આપવામાં આવ્યું નહીં. સોશ્યલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ૧૩મી જૂનની છે. એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ નંબર આઈએક્સ-૧૯૬એ દુબઈથી સાંજે ૭-૨૫ કલાકે જયુપર માટે ઉડાણ ભરવાની હતી.
પરંતુ ટેકનિકલ ખામીને લીધે વિમાન નિયત સમય પર ટેકઓફ કરી શક્યું નહીં. ફ્લાઇટની અંદર લગભગ ૧૫૦થી વધુ મુસાફરો ફસાયેલા રહ્યા હતા. પાંચ કલાકથી વધુ સમય સુધી વિમાનમાં એસી બંધ રહ્યું, જેના કારણે મુસાફરોને ખૂબ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. ફ્લાઇટમાં ફસાયેલા મુસાફરોએ જણાવ્યું કે પાંચ કલાક સુધી રાહ જોઈ પરંતુ પાણી પણ આપવામાં આવ્યું નહીં. ખાવા-પીવાની કોઈ ચીજવસ્તુ પણ આપવામાં આવી નહીં.
પરેશાન મુસાફરોએ એર ઈન્ડિયા એક્સપ્રેસની બેદરકારીને લઈને નારાજગી વ્યક્ત કરી અને આ બાબતને યાત્રીઓની સુરક્ષામાં ગંભીર ચૂક ગણાવી હતી. આ ફ્લાઇટ લગભગ સવા પાંચ કલાક મોડી જયપુર પહોંચી હતી. લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા પછી ટેકનિકલ ખામી દૂર થઈ અને મોડી રાત્રે ૧૨-૪૪ કલાકે ફ્લાઇટ દુબઈથી રવાના થઈ હતી. ફ્લાઇટ ૧૩-૧૪ જૂનની રાત્રે ૨-૪૪ મિનિટે જયપુર એરપોર્ટ પહોંચી હતી. આ વિલંબને પગલે મુસાફરોને માનસિક અને શારીરિક પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. આમ, એર ઈન્ડિયા એક્સપ્રેસની ફરી એક વાર બેદરકારી સામે આવી છે.SS1