સતત ત્રીજા દિવસે ઈરાન-ઈઝરાયલ પર મિસાઈલ હુમલા, ઈઝરાયેલમાં ૧૩ લોકોનાં મોત

ઈરાનના અણુ મથકો પર ઈઝરાયેલના હુમલા યથાવત, ૪૦૦થી વધુ માર્યા ગયા
(એજન્સી)જેરુસલેમ, ઈઝરાયેલે ઈરાનના અણુમથકો પર હુમલા ચાલુ રાખતા મધ્યપૂર્વમાં તણાવ વધી રહ્યો છે. રવિવારે ઈઝરાયેલ અને ઈરાને સતત ત્રીજા દિવસે એકબીજા પર મિસાઈલ હુમલા કર્યા હતા. જેના કારણે બંને દેશમાં જાનહાનિ અને નુકસાન થયું છે.
ઈરાની મીડિયાના જણાવ્યા મુજબ, ઈઝરાયેલના હુમલામાં ૧૨૮થી વધુના મોત થયા છે, જ્યારે ઈઝરાયેલમાં ૧૩ વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે. જો કે હ્યુમન રાઈટ્સ ગ્‰પના જણાવ્યા મુજબ, ઈઝરાયેલના હુમલાથી ઈરાનમાં ૪૦૬ વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે અને ૬૫૪ ઘાયલ થયા છે.
ઈઝરાયેલે તહેરાન ખાતે આવેલા ઈરાનના તહેરાન ખાતે સંરક્ષણ હેડક્વાર્ટર તથા અણુમથકો પર હુમલા કર્યા હતા. ઈરાનની મિસાઈલે ઈઝરાયેલની એર ડિફેન્સ સીસ્ટમને થાપ આપી હતી જેના કારણે ઈઝરાયેલના રહેણાક વિસ્તારોમાં નુકસાન થયુ હતું અને નાગરિકોના મોત થયા હતા.
ઈઝરાયેલે શુક્રવારથી ઓપરેશન ‘રાઈઝિંગ લાયન’ અંતર્ગત ઈરાન પર ભીષણ હુમલા ચાલુ કર્યા છે. ઈઝરાયેલે તેહરાન ખાતે સૈન્યના હેડક્વાર્ટરને નિશાન બનાવ્યું છે અને ઈરાનના ન્યૂક્લીયર પ્રોગ્રામને રોકવા આ હુમલા થયા હોવાનો દાવો કર્યાે છે. ઈરાનના ન્યૂક્લીયર પ્રોજેક્ટથી ઈઝરાયેલને જોખમ હોવાનું કારણ દર્શાવી શરૂ થયેલી આ લડાઈથી મધ્યપૂર્વના દેશોમાં તણાવ ફેલાયો છે. ઈરાને પણ વળતા જવાબમાં મિસાઈલ-ડ્રોન હુમલા શરૂ કરી દીધાં છે.
ઈરાની મીડિયાના જણાવ્યા મુજબ, ઈઝરાયેલના હુમલાથી શુક્રવાર અને શનિવાર દરમિયાન ૧૮ મોત થયા છે, જેમાં ૪૦ મહિલા અને બાળકોનો પણ સમાવેશ થાય છે. જો કે હ્યુમન રાઈટ્સ ગ્‰પના મતે ઈરાનમાં ૪૦૬ લોકો મર્યા છે અને ૬૫૪ ઘાયલ થયા છે. ૧૩ ઈઝરાયેલી નાગરિકોનાં મોત થયા હોવાનું ઈઝરાયેલે સ્વીકાર્યું છે.
ઈઝરાયેલે ઈરાનના ઓઈલ ભંડારોને પણ નિશાન બનાવ્યા છે. ઈઝરાયેલ સૈન્યએ સોશિયલ મીડિયા પર ફારસીમાં પોસ્ટ મૂકી તમામ ઈરાનિયનને હથિયાર ઉત્પાદન એકમો ખાલી કરી દેવા જણાવ્યું છે.
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ કહ્યું હતું કે, ઈઝરાયેલના હુમલા નહીં અટકે તો ઈરાન પણ નહીં રોકાય. ઈરાનને ન્યૂક્લીયર અધિકારથી વંચિત રાખવા અમેરિકાને કરાર કરવા હોય તો આવા કોઈ કરાર સ્વીકાર્ય નથી. અમેરિકાનું સીધું સમર્થન હોવાના કારણે જ ઈઝરાયેલ હુમલા કરી રહ્યું છે.