ઈરાન ભારતની ચા માટે સૌથી મોટા બજારોમાંનું એક છેઃ એક્સપોર્ટ પર સંકટ

ઈરાન અને ઈઝરાયલ તણાવને પગલે ભારતીય ચા નિકાસ માટે સંકટના એંધાણ
(એજન્સી) નવી દિલ્હી, પશ્ચિમ એશિયાઈ બજારો, ખાસ કરીને ઈરાન અને ઈરાકમાં મજબૂત માંગને કારણે ભારતીય પરંપરાગત ચાના ભાવમાં વધારો થયો છે. પરંતુ હવે ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષથી તણાવ વધવાનો ભય છે, જેના કારણે આ ક્ષેત્રમાં ચાનો પુરવઠો ખોરવાઈ શકે છે જેના પગલે ભારતીય ચા નિકાસ માટે સંકટ ઉભું થવાના એંધાણ સાંપડે છે.
ઈન્ડિયન ટી એક્સપોર્ટર્સ એસોસિએશને જણાવ્યું હતું કે ચા વહન કરતા કાર્ગો પહેલાથી જ નીકળી ગયા છે, કેટલાક હજુ પણ શિપમેન્ટની રાહ જોઈ રહ્યા છે. તેથી, હાલના અને ભવિષ્યના ઓર્ડર અંગે ચિંતા છે. આ સંઘર્ષની પરિસ્થિતિ તેમજ નિકાસ અંગે ચિંતિત છીએ. એસોસિએશનના સભ્યો પોતપોતાના ખરીદદારો સાથે સંપર્કમાં છે. અને પરિસ્થિતિનો અંદાજ કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ઉત્પાદકો અને નિકાસકારો બંનેને ચાના વ્યવસાયમાં કામચલાઉ ઘટાડો થવાનો ભય અનુભવી રહ્યા છે. ઈન્ડિયન ટી એસોસિએશને જણાવ્યું હતું કે ઈરાન ભારતીય ચા માટે સૌથી મોટા બજારોમાંનું એક છે. સંઘર્ષ હમણાં જ શરૂ થયો છે, પરંતુ હવે વેપારમાં વિક્ષેપ પડી શકે છે.
તણાવ ઓછો થાય ત્યાં સુધી પરિસ્થિતિ આવી જ રહેશે. પરંપરાગત ચાની નિકાસ ઈરાનથી આવતી માંગ પર આધાર રાખે છે. જો ત્યાં માંગ ઓછી થાય છે, તો ખાસ કરીને પરંપરાગત ચાની નિકાસ પર અસર થશે.
પરંપરાગત રીતે ઈરાન ભારતીય ચા માટે ટોચના બજારોમાંનું એક રહ્યું છે. સામાન્ય રીતે ઈરાનમાં લગભગ ૩ કરોડ કિલો ચા નિકાસ કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૨ માં, ઈરાનમાં ચાની નિકાસ ૨.૨૨ કરોડ કિલો હતી.
પરંતુ ૨૦૨૩ માં તે ઘટીને માત્ર ૫૯.૨ લાખ કિલો થઈ ગઈ, કારણ કે ઈરાને ભારતીય ચા માટે કરાર નોંધાવવાનું બંધ કરી દીધું હતું. આ પછી, વર્ષ ૨૦૨૪માં નિકાસ ફરી વધીને ૯૨.૪ લાખ કિલો થઈ ગઈ. ઈરાનમાં સીધી નિકાસના આંકડા બજારના કદનો સાચો ખ્યાલ આપતા નથી. કારણ કે ત્યાં સંયુક્ત આરબ અમીરાત દ્વારા ભારતીય ચા મોકલવામાં આવે છે. હાલમાં, ભારતીય ચાની માંગ ખૂબ જ વધારે છે.
વિશ્વનો સૌથી મોટો ચા સપ્લાયર શ્રીલંકા હજુ પણ તેની ક્ષમતા કરતા ઓછું ઉત્પાદન કરી રહ્યું છે. વર્ષ ૨૦૨૪માં ભારત દ્વારા ૧૨૮.૪૭ કરોડ કિલો ચાના કુલ ઉત્પાદનમાંથી ૧૧.૮૬ કરોડ કિલો પરંપરાગત ચા હતી. શ્રીલંકામાં ઉત્પાદન વધુ કે ઓછા સ્થિર રહ્યું છે અને તે તેના સામાન્ય સ્તરે પાછું આવ્યું નથી. ભારતીય કંપનીઓ માટે આ એક મોટી તક છે.’