રૂપિયા ૧૩,૦૦૦ કરોડના ખર્ચે ભારતમાં ૧૬મી વસતી ગણતરી થશે

મનમોહનસિંહે ૨૦૧૦માં જાતિ આધારિત વસતી ગણતરીની ખાતરી આપી હતી
આ મહાઅભિયાનમાં ૩૪ લાખ લોકો ઘરે-ઘરે ફરીને પરિવારોનો સર્વે કરશે અને ૧.૩ લાખ ટીમને ડિજિટલ ડીવાઈસથી સજ્જ કરવામાં આવશે
નવી દિલ્હી,કેન્દ્ર સરકારે સત્તાવાર નોટિફિકેશન પ્રસિદ્ધ કરી ભારતના ૧૬મા વસતી ગણતરી અભિયાનની જાહેરાત કરી છે. આઝાદ ભારતમાં સૌ પ્રથમ વખત જાતિ આધારિત વસતી ગણતરીની કવાયત હાથ ધરવામાં આવી છે. બરફ રહેતો હોય તેવા લદાખ, કાશ્મીર, હિમાચાલ પ્રદેશ અને ઉત્તરાખંડના વિસ્તારોમાં ૧ ઓક્ટોબર, ૨૦૨૬થી તથા દેશના અન્ય સ્થળોએ ૧ માર્ચ, ૨૦૨૭થી વસતી ગણતરીનો પ્રારંભ થશે. વસતી ગણતરી અભિયાનમાં રૂ.૧૩,૦૦૦ કરોડનો ખર્ચ થવાની સંભાવના છે. આ મહાઅભિયાનમાં ૩૪ લાખ લોકો ઘરે-ઘરે ફરીને પરિવારોનો સર્વે કરશે અને ૧.૩ લાખ ટીમને ડિજિટલ ડીવાઈસથી સજ્જ કરવામાં આવશે.
વસતી ગણતરીમાં ધર્મ, જાતિ, આવક, શિક્ષણ, સંપત્તિ, સહિતના વિવિધ પાસા આવરી લેવામાં આવશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્રિય ગૃહસચિવ ગોવિંદ મોહન, રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર ઓફ ઈન્ડિયા મૃત્યુંજય કુમાર નારાયણ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે વસતી ગણતરીની તૈયારીઓની સમીક્ષા કરી છે. સત્તાવાર યાદી મુજબ, ભારતમાં ૧૬મી વખત વસતી ગણતરી યોજાઈ રહી છે અને દેશની આઝાદી બાદ આઠમી વખત વસતી ગણતરી હાથ ધરાશે. છેલ્લે ૨૦૧૧માં વસતી ગણતરી અભિયાન હાત ધરાયું હતું.
સામાજિક તણાવ ઊભો કરવાની રાજકીય પ્રવૃત્તિને ડામવાના હેતુથી જાતિ આધારિત વસતી ગણતરીને મુખ્ય ગણતરીની સાથે જ રખાશે. જાતિમાં રોજગારી, શિક્ષણ સહિતના પાસા પણ મુખ્ય યાદી સાથે જ જાહેર કરવાનો નિર્ણય ૩૦ એપ્રિલે કેબિનેટમાં લેવાયો હતો. તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહે વર્ષ ૨૦૧૦માં જાતિ આધારિત વસતી ગણતરીની ખાતરી આપી હતી. જો કે ૨૦૧૧માં કોંગ્રેસ સરકારે જાતિ આધારિત વસતી ગણતરીના બદલે સોશિયો-ઈકોનોમિક એન્ડ કાસ્ટ સેન્સસની કામગીરી હાથ ધરી હતી.SS1