અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં રાહત, બચાવ, ટ્રાફિક અને વ્યવસ્થામાં રાજ્ય પોલીસનો સિંહફાળો

વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ અને અન્ય એજન્સીઓ સાથે સુચારું સંકલન દ્વારા પોલીસ વિભાગ વ્યવસ્થા જાળવવા સતત કાર્યરત :- પોલીસ કમિશનર શ્રી જી. એસ. મલિક
Ahmedabad, અમદાવાદના મેઘાણીનગરમાં બનેલી એર ઇન્ડિયાના પ્લેન ક્રેશની ગોઝારી ઘટના બાદ વહીવટી તંત્ર અને રાજ્ય સરકારના વિભાગો તથા રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓ દ્વારા ત્વરિત રાહત, બચાવ અને રેસ્ક્યુંની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પ્લેન ક્રેશ દુર્ઘટના બાદથી જ પોલીસ વિભાગ દ્વારા સતતપણે સંયમ અને શિસ્ત સાથે બહુઆયામી કામગીરી કરવામાં આવી હતી. પોલીસ વિભાગ દ્વારા શહેર પોલીસની વિવિધ ટીમોને તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે મોકલીને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
શહેર પોલીસ કમિશનર શ્રી જી. એસ. મલિકે પોલીસ વિભાગની કામગીરી વિશે વાત કરતાં જણાવ્યું હતું કે દુર્ઘટનાના દિવસથી જ પોલીસ અને વહીવટીતંત્ર સતત રાહત, બચાવ અને વ્યવસ્થા જાળવવા માટે કાર્યરત રહ્યું છે.
અમદાવાદ શહેર ખાતે બનેલ પ્લેન ક્રેશ ના બનાવ અનુસંધાને અમદાવાદ શહેર પોલીસ દ્વારા હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે ઝડબેસલાક બંદોબસ્ત રાખવામાં આવેલ છે, સાથે સાથે મરણ જનારના સ્વજનો સાથે સહિષ્ણુતાભરી કાર્યવાહી હાથ ધરી, ધીરજ રાખવા અને સાંત્વના આપવાની સાથે સંપૂર્ણ કાર્યવાહીની રૂપરેખા સમજાવી,… pic.twitter.com/VD1Y6sq4Wp
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) June 17, 2025
૧૨મી જૂનના રોજ બપોરે દુર્ઘટનાના સમાચાર મળતાં તેમના સહિત પોલીસ દળોની વિવિધ ટુકડીઓ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ વિભાગે દુર્ઘટનાસ્થળે પહોંચીને તરત જ અન્ય એજન્સીઓ સાથે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘટનાસ્થળે ભીડને કાબૂમાં કરવા સાથે મૃતદેહો અને અસરગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવા તથા ટ્રાફિક અને વ્યવસ્થાના નિયમનમાં પોલીસ તંત્રએ ચાવીરૂપ ભૂમિકા નિભાવી હતી.
પોલીસ કમિશનર શ્રી એ જણાવ્યું કે આયોજનપૂર્વક અગ્નિશામકો અને એમ્બ્યુલન્સ માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા હતા, જેથી રાહત અને બચાવ કામગીરી ઝડપથી થઇ શકે. એસડીઆરએફ, એનડીઆરએફ અને એનએસજી, સીઆઈએસએફ, સીઆરપીએફ, બીએસએફ અને અર્ધલશ્કરી દળો સહિતની અન્ય ટીમો સાથે મળીને પોલીસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓએ સતત કામગીરી કરી હતી.
એ જ રીતે, સિવિલ હોસ્પિટલ ખાતે પણ હોસ્પિટલના દરેક વિભાગો કે જ્યાંથી સગાઓને તેમના સ્વજનોના પાર્થિવ મૃતદેહો સોંપવાની કામગીરી કરવામાં આવે છે ત્યાં પણ પોલીસકર્મીઓ વ્યવસ્થા જાળવવાની કામગીરી કરી રહ્યા છે.
આરોગ્ય વિભાગ સાથે સુચારું સંકલન થકી પોલીસ વિભાગ ડીએનએ મેચિંગ બાદ દર્દીઓના સગાઓને પાર્થિવ દેહ સોંપવાની કામગીરીમાં પણ મદદરૂપ થઈ રહ્યા છે. એટલું જ નહીં, પોલીસકર્મીઓ મૃતદેહોને તેમના નિવાસસ્થાન સુધી પહોચાડવા માટે પણ જઈ રહ્યા છે.