રથયાત્રા રૂટ પરના ૧૮૦ મકાનોના નળ-ગટર જોડાણ કાપવામાં આવ્યા: રમ્ય ભટ્ટ

પ્રતિકાત્મક
ખાડિયા વોર્ડમાં ૯૦૦ ભયજનક મકાનો
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ખાસ કરીને કોટ વિસ્તારમાં ભયજનક મકાનોની સંખ્યા વધી રહી છે. જેના કારણે મકાનો ધરાશાયી થવાની ઘટના વધી રહી છે અને કયારેક નિર્દોષ વ્યક્તિઓ જીવ પણ ગુમાવી રહયા છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર વર્ષે રથયાત્રા રૂટ પર ભયજનક મકાનોની ચકાસણી કરવામાં આવે છે અને નોટીસ આપવામાં આવે છે પરંતુ આ બાબત માત્ર રથયાત્રા પૂરતી જ સીમિત રહે છે. હવે તંત્રએ રથયાત્રા રૂટ સિવાયના ભયજનક મકાનો માટે પણ સર્વે શરૂ કર્યો છે જેમાં ખાડિયા વોર્ડનો સર્વે પૂર્ણ થયો છે જેના અહેવાલ મુજબ માત્ર એક જ વોર્ડમાં ૯૦૦ જેટલા ભયજનક મકાન છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે રથયાત્રા રૂટ પરના ભયજનક મકાનોને નોટીસ આપવામાં આવી છે અને આ મકાનોનો કે તેના જર્જરીત થયેલ અગાશી, ધાબા વગેરેના ભાગનો રથયાત્રા દરમિયાન ઉપયોગ ન કરવા માટે પણ ચેતવણી આપવામાં આવી છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આવા પર૪ મકાનોને નોટીસ આપવામાં આવી છે જયારે ૧૮૦ જેટલા ભયજનક મકાનોના ડ્રેનેજ- વોટર જોડાણ કાપી નાંખવામાં આવ્યા છે આ કાર્યવાહી હજુ પણ ચાલી રહી છે.
મધ્યઝોનના ડેપ્યુટી કમિશનર રમ્યકુમાર ભટ્ટે ઉપરોકત માહિતી આપતા વધુમાં જણાવ્યું હતું કે મધ્યઝોનમાં ચોમાસાની સીઝનમાં કે તે સિવાય પણ મકાનો ધરાશાયી થવાની ઘટના વધી રહી છે તેથી તમામ વોર્ડમાં આવા મકાનોની એક પ્રાથમિક યાદી તૈયાર કરવાની શરૂઆત કરી છે જેના ભાગરૂપે ખાડિયા વોર્ડમાં સર્વે પૂર્ણ થયો છે. ખાડિયા વોર્ડમાં થયેલ પ્રાથમિક સર્વે મુજબ ૯૦૦ ભયજનક મકાન છે.
જોકે આ સંખ્યા અંતિમ નથી ટુંક સમયમાં આ મકાનોના સ્ટ્રકચર રીપોર્ટ તૈયાર કરવામાં આવશે જેના આધારે જ અત્યંત જર્જરીત અને ભયજનક મકાનોની સંખ્યાની વિગતો બહાર આવશે તેથી ખાડિયા વોર્ડમાં ૯૦૦ કરતા ઓછા પણ ભયજનક મકાનો હોય શકે છે. આ સર્વે ઈલેકશન બુથની યાદી મુજબ કરવામાં આવી રહયો છે જેમાં ટેક્ષ વિભાગના કર્મચારીઓ મદદરૂપ થઈ રહયા છે.