બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપવા બે તબક્કાની વાટાઘાટ નિષ્ફળ રહી હતી

રશિયાનો યુક્રેન પર વધુ એક ઘાતક હુમલો, ૧૫નાં મોત, ૧૫૬થી વધુ વ્યક્તિઓ ઘાયલ
બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપવા વાતચીતના બે રાઉન્ડ અગાઉ નિષ્ફળ રહ્યા હતા અને કોઈ જ ઉકેલ આવ્યો નહતો
કિવ,રશિયાએ સોમવારે રાતે યુક્રેન પર વધુ એક ઘાતક હુમલો કર્યાે હતો. રશિયાએ યુક્રેનના કિવને નિશાન બનાવતા મિસાઈલ તથા ડ્રોન વડે સંખ્યાબંધ હુમલા કર્યા હતા જેમાં ૧૫ લોકોના મોત થયા છે તથા ૧૫૬ લોકો ઘાયલ થયા હોવાની વિગતો છે. રશિયાએ કિવમાં એક નવ માળની ઈમારતને ટાર્ગેટ બનાવી હતી અને આ હુમલાને ચાલુ વર્ષનો અત્યાર સુધીનો સૌથી ઘાતક હુમલો માનવામાં આવે છે. બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપવા વાતચીતના બે રાઉન્ડ અગાઉ નિષ્ફળ રહ્યા હતા અને કોઈ જ ઉકેલ આવ્યો નહતો.
યુક્રેનના પાટનગર કિવમાં રશિયાના સૈન્યએ વધુ એક વખત હુમલો કર્યાે હતો. રાત્રે સંખ્યાબંધ મિસાઈલો અને ડ્રોન વડે કિવની સંખ્યાબંધ બિલ્ડિંગો પર વાર કરાયો હતો. રશિયાના હુમલાને પગલે નવ કલાક સુધી કિવમાં મિસાઈલ અને ડ્રોનના ધડાકાઓ ગૂંજ્યા હતા. આ હુમલામાં ૧૪ના મોત થયા છે અને કેટલીક બિલ્ડિંગોને નુકસાન પહોંચ્યું હોવાનું કિવના લશ્કરી વહીવટના વડા તૈમુર ત્કાચેન્કોએ જણાવ્યું હતું. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમિર ઝેલેનસ્કીએ જણાવ્યું કે, કિવ પર કરાયેલો આ સૌથી ભયાનક હુમલા પૈકીનો છે.
રશિયાએ ૪૪૦થી વધુ ડ્રોન અને ૩૨ મિસાઈલોથી કિવ પર પ્રહાર કર્યાે હતો. યુક્રેનના ગૃહ મંત્રાલયના મતે ઈજાગ્રસ્તોનો આંક ૧૩૯ હોવાનું જણાયું છે.મેયર વિટાલી ક્લિત્સ્કોએ જણાવ્યું કે, બુધવારે મૃતકો માટે સત્તાવાર શોક પાળવામાં આવશે.ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેનના ટોચના નેતાઓ વચ્ચે શાંતિ સ્થાપવા માટે અગાઉ બે તબક્કામાં બેઠક મળી હતી પરંતુ તેમાં કોઈ જ ઉકેલ નહીં આવતા બંને દેશો વચ્ચેનું યુદ્ધ ચોથા વર્ષમાં પ્રવેશ્યું છે.
ક્રેમલિનના પ્રવક્તા દીમિત્રી પેસ્કોવે જણાવ્યું કે, યુએસ બાદ યુરોપના સમર્થનથી યુક્રેન વળતા હુમલાઓ કરી રહ્યું છે જેને પગલે હવે વાતચીતનો વધુ એક રાઉન્ડ થશે કે કેમ તે અંગે અસ્પષ્ટતા છે. યુક્રેનના વિદેશ મંત્રી એન્ડ્રી સિબિહાએ કહ્યું કે, જી૭ સમિટ દરમિયાન રશિયાએ હુમલો કરીને પુતિને અમેરિકા તથા અન્ય દેશો પ્રત્યે અનાદર દર્શાવ્યો છે.ss1