હનીમૂન મર્ડર ક્રાઈમ સીન રીક્રીએશન : હત્યામાં બે હથિયાર વપરાયાં, ૩ હુમલા થયાં

એક હથિયાર મળ્યું, બીજું ખીણમાં ફેંક્યાની આશંકા
પૂર્વ ખાસી હિલ્સના પોલીસ અધિક્ષક, વિવેક સૈયમે જણાવ્યું હતું કે ક્રાઈમ સીનનું રીક્રીએશન કર્યા પછી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે
નવી દિલ્હી,રાજા રઘુવંશી હત્યા કેસમાં એક પછી એક ઘણા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. હવે આ કેસમાં એક ચોંકાવનારું અપડેટ આવ્યું છે કે, રાજાની હત્યામાં એક નહીં પણ બે હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મંગળવારે પોલીસે તમામ આરોપીઓને સાથે રાખીને ક્રાઈમ સીનનું રીક્રીએશન કર્યું હતું. પૂર્વ ખાસી હિલ્સના પોલીસ અધિક્ષક, વિવેક સૈયમે જણાવ્યું હતું કે ક્રાઈમ સીનનું રીક્રીએશન કર્યા પછી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.
મેઘાલય પોલીસની SIT તપાસ મુજબ રાજા રઘુવંશીની હત્યા માટે વપરાયેલા હથિયાર પૈકી એક મળી આવ્યું છે. જે આરોપીઓએ ગુવાહાટીથી ખરીદ્યું હતું. બીજા હથિયારની શોધ ચાલુ છે. જે ખીણમાં ફેંકી દીધા હોવાનું મનાઈ રહ્યું છે.પોલીસે ઉમેર્યું કે, આરોપીઓએ આ કેવી રીતે કર્યું તે ફરીથી દર્શાવવા માટે SITએ ઘણી જગ્યાઓની મુલાકાત લીધી હતી. અમે પાર્કિંગથી શરૂઆત કરી જ્યાં તેઓએ તેમના ટુ-વ્હીલર રાખ્યા હતા. અમે વ્યુપોઇન્ટ પર ગયા અને હત્યા પહેલા કોણ ક્યાં ઊભું હતું તે શોધી કાઢ્યું હતું.
રાજા પર એક-બે નહીં પરંતુ ત્રણ હુમલાની વાત પણ સામે આવી છે. જેમાં પહેલો વિશાલ, બીજો આનંદ અને છેલ્લો આકાશે કર્યાે હતો. રાજા પરના હુમલા દરમિયાન સોનમ ઘટનાસ્થળેથી દૂર ખસી ગઈ હતી અને બાદમાં રાજાનો મૃતદેહ ખાડીમાં ફેંકી દેવાયો હતો. આ હનીમૂન મર્ડર કેસમાં રાજાની પત્ની સોનમ સહિત કુલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અન્ય ચાર આરોપીઓમાં આકાશ રાજપૂત, વિશાલ સિંહ ચૌહાણ, રાજ સિંહ કુશવાહા અને આનંદ સામેલ છે.SS1