તારાપુરના મોરજ ગામે ગેસ પ્લાન્ટમાંથી રૂ.૯૫ હજારની કિંમતના વાલ્વની ચોરી

પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી
કંપનીમાં એલપીજી ગેસ કોમર્શિયલ અને ડોમેસ્ટિક વપરાશ માટે બોટલીંગથી ગેસ ભરવામાં આવે છે
આણંદ,આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના મોરજ ગામે આવેલી એક પેટ્રોલીયમ કંપનીના ગેસ પ્લાન્ટના સ્ટોરરૂમની ખુલ્લી જગ્યામાંથી કોઈ ચોર શખ્સો રૂ. ૯૫ હજારની કિંમતના પિત્તળના ૧ હજાર નંગ વાલ્વ ચોરી કરી લઈ ગયાની ફરિયાદ તારાપુર પોલીસમથકમાં નોંધાઈ છે.આણંદ જિલ્લાના તાલુકા મથક તારાપુર ખાતે શિવશક્તિ સોસાયટીમાં મુળ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના સીતાઉકાપુરાના વતની મનીષકુમાર શિવાજી રામચરણ શાહું છેલ્લા છ માસથી પોતાના પરિવાર સાથે રહે છે.
અને તારાપુર તાલુકાના મોરજ રોડ ઉપર આવેલી કોન્ફીડન્સ પેટ્રોલીયમ ઇન્ડીયા લીમીટેડ કંપની(ગો ગેસ) કંપનીમાં પ્લાન્ટ મેનેજર તરીકે નોકરી કરે છે. તેઓની સાથે કંપનીમાં અન્ય ૨૦ માણસો ઉપરાંત બે શીફ્ટમાં ૨૪ કલાક સિક્યુરિટી કંપનીના બે-બે માણસો નોકરી પર હાજર રહે છે. કંપનીમાં એલપીજી ગેસ કોમર્શિયલ અને ડોમેસ્ટિક વપરાશ માટે બોટલીંગથી ગેસ ભરવામાં આવે છે. જેમાં પિત્તળનો વાલ્વ લોખંડની બોટલ સાથે ફીટ કરીને ગેસ ભરવામાં આવે છે. જે વાલ્વ પિત્તળ અને ધાતુના હોય અને બોટલીંગમાં વપરાતા હોવાથી તેનો સ્ટોક કંપનીમાં સ્ટોરરૂમ તેમજ તેની આજુબાજુમાં મુકી રાખવામાં આવે છે.ગત તારીખ ૩-૧૦-૨૪ના રોજ પીત્તળના ૧૫૦૦ નંગ વાલ્વ ખરીદીને મોરજ ખાતેના પ્લાન્ટના સ્ટોરરૂમ અને આજુબાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં મૂક્યા હતા.
ગત તારીખ ૧ જૂનના રોજ મનીષકુમાર શાહું પ્લાન્ટમાં પોતાની નોકરી પર હાજર હતા અને વિઝીટ કરતા સમયે સ્ટોરરૂમ તેમજ બાજુમાં પડેલ વાલ્વ જોવા મળ્યા ન હતા અને વાલ્વની ગણતરી કરાવતા રૂ.૯૫ હજારની કિંમતના ૧ હજાર નંગ પિત્તળના વાલ્વ ઓછા હોવાનું અને કોઈ ચોર શખ્સ ચોરી કરી લઈ ગયા હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી મનીષકુમાર શિવાજી રામચરણ શાહુંએ પોતાના ઉપરી અધિકારીને જાણ કર્યા બાદ તારાપુર પોલીસમથકમાં જાણ કરતા પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ss1