વિમાન દુર્ઘટનામાં બચનાર એકમાત્ર પેસેન્જર વિશ્વાસ કુમારને હોસ્પિટલમાંથી રજા અપાઈ

અત્યાર સુધીમાં કુલ ૧૯૦ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૫૭ મૃતદેહ પરિવારજનોને સોંપાયા
પાંચ પરિવારો નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે, ૧૦ પરિવારો સાથે તંત્ર સંપર્કમાં, ૧૫ પરિવારો બીજા સ્વજનના ડીએનએ મેચની રાહમાં તેમજ ત્રણ પરિવારોના ઓળખ પુરાવાની પ્રોસેસ ચાલી રહી છે
એરઈન્ડિયાની વિમાન દુર્ઘટનામાં બચનારા એક માત્ર વિશ્વાસ કુમાર ક્રેશમાં જીવ ગુમાવનાર પોતાના ભાઈના અંતિમ સંસ્કારમાં ભાંગી પડ્યા
વિશ્વાસકુમારના ભાઈનું પણ વિમાન દુર્ઘટનામાં મૃત્યું પામ્યા હતા, તેમનો મૃતદેહ પણ ગઈકાલે રાત્રે પરિવારજનોને સોંપવામાં આવ્યો : ડો.રાકેશ જોશી
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ૧૯૦ મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૫૭ પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા હોવાનું સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું.
મીડિયા બ્રીફિંગમાં વધુ વિગતો આપતા ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે પાંચ પરિવારો નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે, ૧૦ પરિવારો સાથે હોસ્પિટલ તંત્ર સંપર્કમાં છે, જ્યારે ૧૫ પરિવારો બીજા સ્વજનના ડીએનએ મેચની રાહમાં છે તેમજ ત્રણ પરિવારોના ઓળખ પુરાવાની પ્રોસેસ ચાલી રહીએમ તેમણે ઉમેર્યું હતું.
ઈશ્વરે તમારા હજુ શ્વાસ લખ્યા હોય તો ગમે તેમ કરી ને તમે જીવો જ આનું ઉદાહરણ રમેશ વિશ્વાસ કુમાર છે , #AhemdabadPlaneCrash માં એક માત્ર તેઓ જ બચ્યા… pic.twitter.com/lKTTtjhZA3
— Dhaval Maru (@dhavalmaru8) June 13, 2025
તેમણે વધુમાં ઉમેર્યું કે, ૧૫૭ મૃતકોમાં ૧૨૩ ભારતના નાગરિક, ચાર પોર્ટુગલના, ૨૭ બ્રિટિશ નાગરિક, એક કેનેડિયન તેમજ ચાર નોન- પેસેન્જરનો સમાવેશ થાય છે.
ડો.રાકેશ જોશીએ સોંપવામાં આવેલા પાર્થિવ દેહોની વિગતો પૂરી પાડી હતી. તેમણે કહ્યું કે, ઉદયપુર ૬, વડોદરા ૧૮, ખેડા ૧૦, અમદાવાદ ૪૮, મહેસાણા ૫, બોટાદ ૧, જોધપુર ૧, અરવલ્લી ૨, આણંદ ૧૧, ભરૂચ ૫, સુરત ૬, પાટણ ૧, ગાંધીનગર ૬, મહારાષ્ટ્ર ૨, દીવ ૧૨, જુનાગઢ ૧, અમરેલી ૧, ગીર સોમનાથ ૫, મહીસાગર ૧, ભાવનગર ૧, લંડન ૨, પટના ૧, રાજકોટ ૨, મુંબઈ ૭, નડિયાદ ૧ દ્વારકા ૨ તેમજ સાબરકાંઠાના ૧ પાર્થિવ દેહો સ્વજનોને સોંપવામાં આવ્યા હતા.
વિમાન દુર્ઘટનામાં બચનાર એકમાત્ર પેસેન્જર બચનાર વિશ્વાસકુમાર અંગેની માહિતી આપતા ડો.રાકેશ જોશીએ ઉમેર્યું હતું કે, વિશ્વાસકુમાર સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા હતા અને તેમનો પરિવાર પણ અહીં હાજર હતો. તેમના પરિવારે સિવિલમાંથી રજાની પરવાનગી માંગી હતી એટલે ગઈકાલે રાત્રે ૭.૩૦ કલાકે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ ઉપરાંત વિશ્વાસકુમારના ભાઈનું પણ વિમાન દુર્ઘટનામાં મૃત્યું પામ્યા હતા અને તેમનો મૃતદેહ પણ રાત્રે બે કલાકે પરિવારજનોને સોંપવામાં આવ્યો છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, ડીએનએ સેમ્પલ મેચિંગની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોવાથી અને કાયદાકીય બાબતો પણ સંકળાયેલી હોવાથી આ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતાપૂર્વક અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. પરિવારજનોને તેમના સ્વજનોના પાર્થિવ દેહો ઝડપથી સોંપવા માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલ અન્ય સંસ્થાઓ, સ્થાનિક વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકારના આરોગ્ય અને અન્ય વિભાગો તથા વિવિધ એજન્સી ખડેપગે કામગીરી કરી રહી છે.