Western Times News

Gujarati News

કોણ હતો મનોજ શંકરલાલ સાલવી જેને ક્રાઈમબ્રાંચે ઉદયપુરથી ઝડપી લીધો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ત્રણ વર્ષથી ફરાર બિશ્નોઈ ગેંગનો સાગરિત ઝડપ્યો-અમદાવાદના પંચવટી સર્કલ નજીક શિવાલિક કોમ્પ્લેક્સ બહાર રૂપાલાલ ભવરલાલ સાલવીને એક દેશી પિસ્તોલ અને એક જીવતા કારતૂસ સાથે ઝડપી લીધો હતો. આ પિસ્તોલ તેને મનોજ ઉર્ફે ચક્કીએ પૂરી પાડી છે.

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લોરેન્સ બિશ્નોઈ ગેંગના વધુ હિસ્ટ્રીશીટર મનોજ ઉર્ફે ચક્કી શંકરલાલ સાલવી (ઉં.વ.૨૧)ને રાજસ્થાનના ઉદયપુરથી ઝડપી લીધો છે. વર્ષ ૨૦૨૨માં ગુજરાત એન્ટિ ટેરરિઝમ સ્ક્વોડ દ્વારા નોંધાયેલા આર્મ્સ એક્ટના એક કેસ પછી ક્રાઈમ બ્રાન્ચ તેને શોધી રહી હતી. જો કે, ત્રણ વર્ષ પછી ક્રાઈમ બ્રાન્ચને આ સફળતા મળી છે.

આ કેસની ઉચ્ચ પોલીસ અધિકારીઓના જણાવ્યાનુસાર, ૧૪ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ ગુજરાત છ્‌જીએ અમદાવાદના પંચવટી સર્કલ નજીક શિવાલિક કોમ્પ્લેક્સ બહાર રૂપાલાલ ભવરલાલ સાલવીને એક દેશી પિસ્તોલ અને એક જીવતા કારતૂસ સાથે ઝડપી લીધો હતો. તેની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, આ પિસ્તોલ તેને મનોજ ઉર્ફે ચક્કીએ પૂરી પાડી છે.

ત્યાર પછી એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની વિવિધ કલમો તેમજ ગુજરાત પોલીસ એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ દરમિયાન મનોજ આશરે ત્રણ વર્ષ સુધી ફરાર રહ્યો હતો, પરંતુ આખરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉદયપુરના હિરણ મગરી, સેક્ટર-૧૪, ગોરધન વિલાસ કોલોનીમાં તેના નિવાસ સ્થાનેથી તેને ઝડપી લીધો છે.

હાલ વધુ પૂછપરછ માટે મનોજ ઉર્ફ ચક્કીને એલિસબ્રિજ પોલીસને સોંપી દેવાયો છે. મનોજ સાલવી એક હિસ્ટ્રીશીટર છે. તેની સામે ગુજરાત સહિત રાજસ્થાન અને દિલ્હીમાં પણ ગુના નોંધાયેલા છે. પોલીસ રેકોર્ડ અનુસાર, તેની સામે ઓછામાં ઓછા ૧૧ ગુના છે, જેમાં મોટાભાગે સશસ્ત્ર લૂંટ, ગેરકાયદે હથિયારોનો કબજો અને એક હત્યા પણ સામેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.