Western Times News

Gujarati News

ઇરાનનો ઇઝરાયેલમાં હોસ્પિટલ, સ્ટોક એક્સચેન્જ પર હુમલો

ગિન્નાયેલા ઇઝરાયેલનો હુંકારઃ ઈરાનના ખામેનીને ઠાર મારીને જ રહીશું

હમાસ દ્વારા ૨૦૨૩માં થયેલા હુમલા બાદ ઈઝરાયેલે મિસાઈલ હુમલા અને ભૂકંપ સામે ટકી રહે તેવી અદ્યતન બ્લડ બેન્ક બનાવી છે

તેહરાન,ઈરાનના સર્વાેચ્ચ વડા અયાતુલ્લા ખામેનીએ ઈઝરાયેલ સામે યુદ્ધનું સત્તાવાર એલાન કર્યા પછી બંને દેશ વચ્ચે ભીષણ ટકરાવની શરૂઆત થઈ ગઈ છે. ઈરાનની મિસાઈલોએ ઈઝરાયેલના પાટનગર તેલ અવીવમાં હોસ્પિટલ અને રહેણાક વિસ્તારોને નિશાન બનાવ્યા છે. વળતા જવાબમાં ઈઝરાયેલે ઈરાનનું હેવી વોટર રીએક્ટર ઠપ કરી દીધું છે, જે ઈરાનના ન્યૂક્લીયર પ્રોગ્રામનો ભાગ છે. તેલ અવીવ સ્ટોક એક્સચેન્જ બિલ્ડિંગને ભારે ક્ષતિ પહોંચાડવામાં પણ ઈરાનને સફળતા મળી છે. ઈરાને સૈન્ય મથકો સિવાયના સ્થળોને નિશાન બનાવતાં રોષે ભરાયેલા ઈઝરાયેલે ખામેનીને ઠાર મારવાનું એલાન કરી દીધું છે.ઈરાને નવા હુમલા દરમિયાન ડઝનથી વધુ બેલાસ્ટિક મિસાઈલ ઝીંકી દેતાં ૨૪૦ ઈઝરાયેલી નાગરિકો ઘાયલ થયા છે.

તેમાંથી ૭૦ ઈઝરાયેલી હોસ્પિટલ પરના હુમલામાં ઘાયલ થયા હતા અને તમામને સ્થળાંતરિત કરાયા હતા. ઈરાને હુમલા વધુ આક્રમક બનાવ્યા તેના એક દિવસ પૂર્વે યુએસ પ્રમુખ ટ્રમ્પે ઈરાનને બિનશરતી શરણાગતિ સ્વીકારવા કહ્યું હતું.ટ્રમ્પે ખામેનીની હત્યાનો ઈરાદો ન હોવાનું કહ્યા પછી ઈરાને શરણાગતિ સ્વીકારવા ઈનકાર કર્યાે હતો અને ઈઝરાયેલ પર હુમલા વધાર્યા હતા. જેથી ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી કેટ્‌ઝએ ઈરાનના સર્વાેચ્ચ નેતા ખામેનીની હત્યા કરવા માટે સૈન્યને સૂચના અપાઈ હોવાનું કહ્યું હતું. કોઈ પણ ભોગે ખામેનીનું અસ્તિત્વ ન રહેવું જોઈએ તેવો પડકાર પણ ઈઝરાયેલે આપ્યો હતો. યુદ્ધમાં ફસાયેલા પોતાના નાગરિકોને પરત લાવવા ભારતે નક્કર યોજના બનાવી લીધી છે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, ઈઝરાયેલથી ભારતીયોને જમીની માર્ગે નજીકના દેશોમાં લઈ જવાશે અને ત્યાંથી વિમાન મારફતે ભારત લાવવામાં આવશે. ચીનના પ્રમુખ શી ઝીનપિંગ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ગુરુવારે ફોન પર એક કલાક ચર્ચા કરી હતી. આ ચર્ચા બાદ બંને પ્રમુખોએ ઈઝરાયેલ-ઈરાન વચ્ચે શસ્ત્રવિરામને જરૂરી ગણાવ્યો હતો અને ઈઝરાયેલના વલણને વખોડ્યું હતું.ઈરાને ગુરુવારે કરેલા હુમલાઓમાં બિનપરંપરાગત મિસાઈલનો હુમલો કર્યાે હતો. આ મિસાઈલને ફાયર કર્યા પછી તે આગના તણખાની જેમ ચારે બાજુ વિખરાય છે અને લક્ષ્ય સુધી પહોંચે છે. આયર્ન ડોમ માટે આ મિસાઈલને ખાળવાનું અઘરું બન્યું હોવાનું ઈઝરાયેલના સત્તાવાર સૂત્રોએ સ્વીકાર્યું હતું. આયર્ન ડોમમાં ગાબડું પડ્યું હોવાથી જ ઈરાનની કેટલીક મિસાઈલો લક્ષ્ય સુધી પહોંચી હોવાનું મનાય છે. ઈરાન પર હુમલો કરતાં પહેલાં જ ઈઝરાયેલે બચાવની તૈયારી કરી દીધી હતી.

ગત સપ્તાહે જ હોસ્પિટલને ખાલી કરી દેવાઈ હતી અને તેને મોટા બિલ્ડિંગના બદલે અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં શરૂ કરી દેવાઈ હતી. વેન્ટિલેટર પર હોય અથવા અશક્ત હોય તેવા દર્દીઓને આવા સ્થળે રખાય છે. હમાસ દ્વારા ૨૦૨૩માં થયેલા હુમલા બાદ ઈઝરાયેલે મિસાઈલ હુમલા અને ભૂકંપ સામે ટકી રહે તેવી અદ્યતન બ્લડ બેન્ક બનાવી છે. અમેરિકા સહિતના દેશો ઈરાનને અણુ શસ્ત્રો વિકસાવતું રોકવા માગે છે. ઈરાનનો દાવો છે કે, ન્યૂક્લીયર પ્રોગ્રામનો ઉપયોગ માત્ર નાગરિકોની મદદ માટે કરવામાં આવે છે. હથિયારો બનાવવાનો તેનો કોઈ ઈરાદો નથી. ઈરાનના અણુ મથકો પર ઈઝરાયેલે હુમલો કર્યાે હતો. ઈરાને રેડિએશન લીક થવાની કે નુકસાન થવાની આશંકાને નકારી હતી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.