ઇરાને ઇઝરાયેલ પર છોડી કલસ્ટર મિસાઇલ

નેતન્યાહૂએ ઈરાનને પરમાણુ ઠેકાણા ધ્વસ્ત કરવાની આપી ધમકી
તહેરાન, ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલુ યુદ્ધ વધારે ઘેરાઇ રહ્યું છે. ઇઝરાયેલે ડ્રોન અને મિસાઇલ હુમલા બાદ ઇરાન પર સાઇબર એટેક કર્યો હતો. આ કારણે ઇરાનમાં કેટલાક કલાકો સુધી ઇન્ટરનેટ બંધ રહ્યુ હતું. હવે ઇરાને જડબાતોડ જવાબ આપતા ઇઝરાયેલના કેટલાક ઠેકાણાને નિશાન બનાવ્યા છે જેમાં એક હોસ્પિટલ પણ સામેલ છે. ઇઝરાયેલના લોકો ઇરાનના હુમલાથી પરેશાન થઇ શેલ્ટર તરફ ભાગી રહ્યાં છે.
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઇરાનને ધમકી આપતા કહ્યું કે તેના તમામ પરમાણુ ઠેકાણાને નષ્ટ કરીશું. ઇરાનની અડધી મિસાઇલ લાન્ચર પણ બરબાદ થઇ ગઇ છે. ઇઝરાયેલના વડાપ્રધાને કહ્યું કે ઇરાનમાં શાસન પરિવર્તન અમારૂ લક્ષ્ય નથી પરંતુ આ સંઘર્ષનું પરિણામ હોઇ શકે છે.
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ કહ્યું કે અમેરિકા અને બ્રિટન આ વાત પર સહમત છે કે ઇરાનને ક્યારેય પરમાણુ હથિયાર ના મળવા જોઇએ. રૂબિયોએ ઠ પર પોસ્ટ કરતા કહ્યું, ‘ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે સંઘર્ષ પર ચર્ચા કરવા માટે યુકેના વિદેશ મંત્રી ડેવિડ લૈમી સાથે મહત્ત્વપૂર્ણ બેઠક કરી હતી.
સંયુક્ત રાજ્ય અમેરિકા અને યુકે આ વાત પર સહમત છે કે ઇરાનને ક્યારેય પણ પરમાણુ હથિયાર ના મળવા જોઇએ.’ ઇઝરાયેલી સેનાએ જણાવ્યુ કે ઇરાને એક મિસાઇલ એવી છોડી છે જેમાં નાના નાના બોમ્બ (કલસ્ટર મિસાઇલ) હતી, જેનો ઇરાદો નાગરિકોને વધારે નુકસાન પહોંચાડવાનો હતો. આ યુદ્ધમાં કલસ્ટર મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો દાવો કરાયો છે.
ન્યૂ યોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, અમેરિકા માને છે કે ઈરાન પાસે હવે પરમાણુ શસ્ત્રો બનાવવાની સંપૂર્ણ ક્ષમતા છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે ગુરુવારે કહ્યું કે, જો ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખોમેની આદેશ આપે તો ઈરાન થોડા અઠવાડિયામાં પરમાણુ બોમ્બ બનાવી શકે છે.
લેવિટે કહ્યું કે ઈરાન પાસે પરમાણુ શસ્ત્રો બનાવવા માટે જરૂરી બધું છે. હવે તેમને ફક્ત તેમના નેતાના હા પાડવાની રાહ જોવાની છે. તેમણે એમ પણ કહ્યું કે જો ઈરાન આવું કરશે, તો તે ફક્ત ઇઝરાયલ જ નહીં, પરંતુ અમેરિકા અને સમગ્ર વિશ્વની સુરક્ષા માટે ખતરો બનશે.