Western Times News

Gujarati News

ભારત સાથે તમામ વણઉકલ્યા મુદ્દે મંત્રણા માટે તૈયારઃPM શરીફ

મુનિરના ટ્રમ્પ સાથેના લંચ બાદ સાઈડલાઈન થયેલાં શરીફના સૂર બદલાયાં

પાકિસ્તાન સહિત સમગ્ર વિશ્વમાં શેહબાઝ શરીફની વડાપ્રધાન તરીકેની પ્રતિષ્ઠામાં મોટું ગાબડું પડ્યું છે

ઈસ્લામાબાદ,ભારત સાથેના ત્રણ દિવસના યુદ્ધમાં ભારે ખુવારીનો સામનો કરનાર પાકિસ્તાને ભારત સાથે મંત્રણા કરવાની ફરી તત્પરતા દાખવી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે ભારત સાથે જમ્મુ-કાશ્મીર, સિંધુ જળ સંધિ, વેપાર તથા ત્રાસવાદ સહિતના તમામ વિલંબિત મામલે ચર્ચા કરવાની ઈચ્છાનો પુનરોચ્ચાર કર્યાે હતો.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાની સૈન્યના વડા આસિમ મુનિર સાથે લીધેલાં ભોજન બાદ સાઈડલાઈન થઈ ગયેલાં પાકિસ્તાન સહિત સમગ્ર વિશ્વમાં શેહબાઝ શરીફની વડાપ્રધાન તરીકેની પ્રતિષ્ઠામાં મોટું ગાબડું પડ્યું છે ત્યારે શેહબાઝે ભારત સાથે પુનઃ મંત્રણાનો રાગ આલાપ્યો છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કાે રુબિયો સાથેની ટેલિફોનિક વાતચીત દરમિયાન શરીફે ભારત સાથે વિલંબિત તમામ મુદ્દે ચર્ચા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તેમ પાકિસ્તાનના સરકારી ટેલિવિઝને એક્સ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું.

પોસ્ટમાં વધુ જણાવ્યાં અનુસાર, રુબિયો સાથેની વાતચીત દરમિયાન વડાપ્રધાન શરીફે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને શુભેચ્છાઓ પાઠવી હતી અને ભારત અને પાકિસ્તાન વચ્ચેના શસ્ત્રવિરામમાં અગત્યની ભૂમિકા ભજવવા બદલ તેમની પ્રશંસા કરી હતી. શરીફે વધુમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનની પ્રશંસા કરતું ટ્રમ્પનું નિવેદન દક્ષિણ એશિયામાં દીર્ઘકાલીન શાંતિ માટે પ્રોત્સાહક છે, અને તે માત્ર ભારત અને પાકિસ્તાન વચ્ચે અર્થપૂર્ણ સંવાદ શરૂ કરવાથી જ શક્ય બનશે.

આ સંદર્ભમાં તેમણે ભારત સાથે જમ્મુ-કાશ્મીર, સિંધુ જળ સંધિ, વેપાર તથા ત્રાસવાદનો સામનો કરવા સહિતના ઘણાં સમયથી વણઉકલ્યા મુદ્દાઓ પર મંત્રણા કરવાની ઈચ્છાનો પુનરોચ્ચાર કર્યાે હતો તેમ પાકિસ્તાનના સરકારી ટેલિવિઝન પીટીવીએ જણાવ્યું હતું.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.