Western Times News

Gujarati News

સરસપુરમાં ભગવાન જગન્નાથના ભવ્ય મામેરાના દર્શન માટે ભક્તોની ભીડ

(એજન્સી)અમદાવાદ,ભગવાન જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રા ૨૭ જૂન, ૨૦૨૫ના પવિત્ર દિવસે નિષ્પન્ન થવાની છે. ત્યારે રથયાત્રા પૂર્વેના ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રસંગોનું અમદાવાદ શહેરમાં ભવ્ય રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે.

શનિવારે સરસપુરના મોસાળ મંદિર ખાતે ભગવાન જગન્નાથને વાસણા યજમાન પરિવાર તરફથી પરંપરાગત રીતે ભક્તિભાવપૂર્વક મામેરું અર્પણ કરવામાં આવ્યું. આ અનોખા અને અલૌકિક દર્શનના લાભ માટે સવારથી જ હજારો ભક્તોનું ઘાટા વાદળા જેવી ભીડ ઉમટી પડી હતી.

ભજન અને ‘જય રણછોડ’ના ગુંજારવ વચ્ચે સમગ્ર પરિસર ભક્તિમય અને ભાવનાત્મક બની ગયો હતો. રવિવારે પણ ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. લોકોએ ભક્તિભાવપૂર્વક ભગવાનના દર્શન કર્યા હતા.

આ વર્ષે ભગવાન જગન્નાથજી માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવેલા ગુલાબી અને નેવી બ્લુ રંગના વાઘાઓ ભક્તોના આકર્ષણનું કેન્દ્ર રહ્યા. સાથે સાથે સોના-ચાંદીના ભવ્ય આભૂષણોથી શણગારાયેલા જગન્નાથજીના દરશનથી ભક્તોની આંખો તૃપ્ત થઈ ગઈ. સોમવાર, ૨૩ જૂનના રોજ મામેરું વાસણાની અરિહંત સોસાયટી ખાતે લાવવામાં આવશે.

ત્યાંથી સમગ્ર વિસ્તારને આવરી લેતી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભજન મંડળીઓ, ઘોડા-ઉંટના દળો અને સંસ્કૃતિક ઝાંખીઓનો સમાવેશ રહેશે. આવા પવિત્ર અવસરે શ્રદ્ધાળુઓને અરજ છે કે તેઓ મોટી સંખ્યામાં પધારીને ભગવાન જગન્નાથના આશીર્વાદ પ્રાપ્ત કરે અને રથયાત્રા પૂર્વેના આયોજનોમાં સહભાગી બને.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.