માહિતી નિયામકના અધ્યક્ષ સ્થાને ખેરાલુના પાન્છા અને વિઠોડામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો

પ્રેરણાત્મક પ્રસંગોથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને માર્ગદર્શન આપતા માહિતી નિયામક
ગાંધીનગર, માહિતી નિયામક શ્રી કે. એલ. બચાણીના અધ્યક્ષ સ્થાને મહેસાણા જીલ્લાના ખેરાલુ તાલુકામાં ત્રણ શાળાઓમાં આજરોજ શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો. માહિતી નિયામકશ્રીએ પાન્છા અનુપમ પ્રાથમિક શાળા, પીએમશ્રી શ્રીમતી કે. બી. શાહ અનુપમ પ્રાથમિક શાળા, વિઠોડા, વી. ડી. યુ. એમ. એસ સરસ્વતી વિદ્યામંદિર ખાતે બાળકોને શાળામાં પ્રવેશ કરાવી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. શાળામાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ તેમજ શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું માહિતી નિયામકશ્રી અને ઉપસ્થિત મહાનુભાવના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
માહિતી નિયામકશ્રીએ પ્રાસંગિક ઉદબોધનમાં જીવનમાં શિક્ષણનું મહત્વ અને ભણતરથી વ્યક્તિત્વનો વિકાસ કેવી રીતે થઈ શકે તેના દ્રષ્ટાંતો આપીને ઉપસ્થિત વિદ્યાર્થીઓને વાર્તાના સ્વરૂપમાં પ્રેરણાત્મક વાતોથી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેને વિદ્યાર્થીઓએ ખૂબ રસ પૂર્વક ગ્રહણ કર્યું હતું.
શાળાના શિક્ષકોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે શિક્ષક વિદ્યાર્થીના જીવનમાં શિક્ષણ દ્વારા પરિવર્તન લાવી દેશની ભાવી પેઢીના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપે છે… શાળામાં વિદ્યાર્થીઓની હાજરી વધે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શાળાના વિદ્યાર્થીઓની ભાગીદારી વધે તેવા પ્રયાસોને પ્રોત્સાહન આપવા પર તેમણે ભાર મૂક્યો હતો.
વાલીઓને સંબોધતા માહિતી નિયામકશ્રીએ જણાવ્યું હતું કે માતા પિતા ગુજરાત સરકારે વિકસાવેલી ટેકનોલોજીના માધ્યમથી પોતાના બાળકની અભ્યાસ અંગેની વિગતો ઘેર બેઠા મેળવી શકે છે.. વાલીઓએ પણ પોતાના બાળક શાળામાં શું ભણીને આવે છે તે અંગે તેની પાસેથી વિગતો મેળવવી જોઈએ તેઓ અનુરોધ માહિતી નિયામક શ્રી એ કર્યો હતો..
આ પ્રસંગે માહિતી નિયામકશ્રીએ નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના જેવી વિવિધ યોજનાઓ તેમજ રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કરાઈ રહેલા કાર્યોથી લોકોને માહિતગાર કર્યા હતા.
માહિતીની નિયામકશ્રીએ શાળાના કેમ્પસની મુલાકાત લઇ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ, પ્રોજેક્ટનું નિરીક્ષણ કરી તેમાં ગુણાત્મક સુધારા માટે વિવિધ સૂચનો પણ કર્યા હતા..કાર્યક્રમના અંતે માહિતી નિયામકશ્રી અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું..
આ પ્રસંગે વિદ્યાર્થીઓએ સામાજિક ઉત્થાન, વિજ્ઞાન અને ટેકનોલોજી, સ્વાસ્થ્ય અને પર્યાવરણ જેવા વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ શિક્ષકો વાલીઓ ગામના પદાધિકારીઓ, દાતાશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.